Showing posts with label સંગીત ચિકિત્સા. Show all posts
Showing posts with label સંગીત ચિકિત્સા. Show all posts

Friday, 25 October 2013

“મ્યુઝીક થેરપિ કે સંગીત ચિકિત્સા”

તથ્ય કે તૂત?


        ઘણું કરીને ૧૯૫૪માં એમ. સદિકની એક ફિલ્મ આવેલીઃ શબાબ. એમાં ભારત ભૂષણ અને નૂતન હતાં. નૂતન એક એવી રાજકુમારી છે જેને અનિદ્રાનો વ્યાધિ છે. ભારત ભૂષણ એક ગાયક છે જે પોતાના ગાયનની શક્તિથી નાયિકાને ઉંઘાડી દે છે. ગાયક-સંગીતકાર હેમંતકુમારે નૌશાદનાં સંગીતમાં રાગ મિશ્ર પીલુ પર આધારિત હાલરડા (લોરી) પ્રકારનું ગીત ગાયું હતું, ‘ચંદન કા પલના રેશમ કી ડોરી ઝુલા ઝુલાવે…’ ફિલ્મમાં નાયિકાનો અનિદ્રાનો વ્યાધિ આ ગીતથી મટી જાય છે. યોગાનુયોગે ફિલ્મમાં એક સાખી પણ રજુ કરેલી, ‘સંગીત હૈ શક્તિ ઇશ્વર કી, હર સૂર મેં બસે હૈં રામ, રાગી જો સુનાયે રાગિણી, રોગી કો મીલે આરામ…’ આ લખનારને અહીં થોડી અતિશયોક્તિ લાગે છે. કારણ કે, દુનીયાની દરેક માતા પોતાના કંઠે ગાંડુઘેલું કંઈક ગણગણે છે જે સાંભળીને બાળક ઊંઘી જાય છે. દરેક માતા કંઈ લતા મંગેશકર જેવી ગાયીકા હોતી નથી, પરંતુ માતાના કંઠમાં રહેલો ઉત્કટ ભાવ બાળકને ઊંઘાડી દેવામાં નિમિત્ત બને છે.

        જો કે સંગીતકાર નૌશાદ સાથે શબાબનાં આ ગીતની વાત નીકળી ત્યારે તેમણે આ લેખકને એક નાનકડું લેક્ચર આપી દીધેલું. એનો સાર એટલો જ કે સંગીત માર્તંડ પંડિત ઓમકારનાથ ઠાકુરે ૧૯૩૩માં ઇટાલીનાં સરમુખત્યાર મુસોલિનીનો અનિદ્રાનો રોગ પોતાના ગાયન દ્વારા મટાડેલો. મુસોલિનીએ પોતાના સંગીતકારોને પંડિત ઓમકારનાથજીની ગાયકીનું નોટેશન (સ્વરલિપિ) નોંધી લેવાનો આદેશ આપ્યો હતો. પંડિતજીએ ભરુચમાં ડોક્ટર જી. એન. વૈષ્ણવ, અમદાવાદમાં ડોક્ટર અમીન અને અલાહાબાદમાં મેજર ડોક્ટર રણજિતસિંહજીનો અનિદ્રાનો વ્યાધિ રાગ કોમળ રિષભ આશાવરી ગાઇને મટાડયો હતો એવું પંડિતજીનાં ચરિત્રકાર ડોક્ટર પ્રદીપકુમાર દીક્ષિતે નોંધ્યું છે.

        આ તો વાત થઇ અનિદ્રાની, ઔર એક રસપ્રદ નિરીક્ષણ તાજેતરમાં વાંચવામાં આવ્યું. આધ્યાત્મ માર્ગે આગળ વધવા સતત સાચા ગુરુની શોધમાં દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદે ઘણી રઝળપાટ કરી, પરંતુ ગુરુ મળ્યા નહીં ત્યારે એમનામાં એક પ્રકારનું ડિપ્રેશન આવી ગયું. એ ડિપ્રેશન શંકર જયકિશનનાં સંગીતથી સર્જેલા ફિલ્મીગીતો સાંભળીને દુર થયુ. એટલે સ્વામીએ વાસંદામાં જયકિશનની કાંસાની એક પ્રતિમા સ્થાપિત કરાવી. આધુનિક વિજ્ઞાન કહે છે કે શહેરી ભાગદોડ વચ્ચે રહેતા શહેરીજનોની મોટા ભાગની બિમારી સાઇકોસોમેટિક એટલે કે મનોદૈહિક હોય છે. ભારતિય સંગીતે માણસના અશાંત મનને શાંત કરવામાં વિપુલ ફાળો આપ્યો છે એ હકિકત છે. ચિત્ત શાંત થાય એટલે અમુક બિમારી આપોઆપ દૂર થઈ જાય છે.

        ૧૯૮૦નાં દાયકામાં મુંબઈની કે.ઈ.એમ. હોસ્પિટલમાં ફૌજી ડોક્ટર બ્રિગેડિયર કે. કે. દાતેએ ભારતિય સંગીત દ્વારા મનોરોગીઓને સારા કરવાનો સફળ પ્રયોગ કરેલો. જગપ્રસિધ્ધ સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માએ એક મુલાકાતમાં આ લખનારને એટલું કહેલું કે અમેરિકામાં અને ઇંગ્લેન્ડમાં મને કહેવામાં આવ્યું છે કે તમારું સંતુરવાદન સંભળાવીને અમે ઘણા પેશન્ટને ઝડપભેર ‘રિલેક્સ’ થતાં જોયાં છે. લગભગ એવો જ અભિપ્રાય બાંસુરીવાદક હરીપ્રસાન ચૌરસિયાને મળ્યો છે. આમ ભારતિય વાદ્ય સંગીત માણસનાં અશાંત મનને શાંતિનો અનુભવ કરાવે છે એ સિધ્ધ થયું. સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં આ બંને કલાકારોનાં રેકોર્ડીંગ સંભળાવતાં ગાયોએ વધુ દૂધ આપ્યુ કે કેટલાક પ્લાંટનો વિકાસ ઝડપી બન્યો એવા અહેવાલો પણ પ્રગટ થયા, પરંતુ સંગીત ચિકિત્સાની વાત કરીએ ત્યારે કેટલાક મુદ્દા સમજી લેવા અનિવાર્ય બની જાય છે. એમાં સાબિતીરુપે ક્લીનિકલ રિપોર્ટ્સ પણ જોઇએ.

        દાખલા તરીકે, કોઇ એમ કહે કે ફલાણો રાગ ગાવાથી તાવ ઊતરી જાય ત્યારે પ્રશ્ન ઊભો થાય કે ક્યા તાવની વાત કરો છો? તાવ ઘણી જાતના થાય. સામાન્ય તાવ, ઇન્ફ્લુએન્ઝાનો તાવ, ટાઢિયો તાવ, મુદતિયો તાવ, ચિકનગુનિયાનો તાવ, સ્વાઇનફ્લૂનો તાવ, ન્યૂમોઇયાનો તાવ, બ્રોન્કાઇટિસનો તાવ વગેરે. આ બધા તાવનો ઇલાજ એક ઔષધિથી થતો નથી.

        દરેકનું પ્રિસ્ક્રીપ્શન અલગ હોય છે. શું તમે જણાવેલો રાગ આ બધા તાવને ભગાડે છે? તો એ ખરેખર ચમત્કાર ગણાય. અહીં એક આડ્વાત, ઓલ્ટરનેટિવ ચિકિત્સાના મોટાભાગના ઉપાસકો કહે છે કે બને ત્યાં સુધી તમારે ડોક્ટરની દવા ચાલુ રાખવી એટલે કે ઓલ્ટરનેટિવ ચિકિત્સા માત્ર પુરક બની રહે છે. એક વિદ્વાનનાં કહેવા મુજબ અગાઉનાં વૈદ-હકિમો પોતાના પડીકાં સાથે અમુક-તમુક રાગનું પ્રિસ્ક્રીપ્શન પણ આપતાં. એ વાત સાચી હોય તો સંગીત પણ પુરક ચિકિત્સા બની રહે.

        બીજો એક મહત્વનો મુદ્દો ભારતિય સંગીતમાં દરેક રાગ-રાગિણી ગાવા-વગાડવાનો ચોક્કસ સમય નિશ્ચિત હોય છે. એ જ રીતે અમુક રાગ ઋતુપ્રધાન છે, એટલે રોગીને ક્યો રાગ ક્યારે સંભળાવવો એ નક્કી શી રીતે કરવું?



- લેખક અજિત પોપટનાં પુસ્તકઃ ‘ગાયે જા ગીત ફિલમ કે’, માંથી સાભાર...