Monday, 5 August 2013

કાર્યને મૂલવો તેનાં ઇરાદાથી… (PART - 1)


        લાલા હજારીપ્રસાદ અને લાલા બિહારીલાલ બંને જીગરજાન મિત્રો. બંનેનો એક ભાણામાં હાથ. બંનેનાં પરિવારમાં પણ એટલી જ આત્મીયતા. બંને અમીર પરિવારોનાં સુખી જીવનમાં એક વાર એવું સંપત્તિનું વમળ સર્જાયું કે જીવનમરણનો પ્રશ્ન સામે આવીને ઊભો રહ્યો.

        બન્યું એવું કે લાલા હજારીપ્રસાદજી સપરિવાર ચારધામની યાત્રાએ નીકળ્યા. તેમણે દિલ્હીનાં ચાંદની ચોક પાસે આવેલી પોતાની શાનદાર કોઠી એમ ને એમ તેમના અનન્ય મિત્ર લાલા બિહારીલાલને સુપરત કરી. સરસામાન, દરદાગીના, નોકર-ચાકર સહિત લાલાલ હજારીપ્રસાદે પરિવાર સાથે યાત્રા માટે પ્રસ્થાન કર્યું. લાલા બિહારીલાલે કોઠીની મુલાકાત લીધી, લાલાજીનો વૈભવ જોયો, આભૂષણો, રાચરચીલું, ચાંદીનાં કિંમતી વાસણો, કિંમતી ગાલીચા, અણમોલ કલાકૃતિઓ, અમૂલ્ય ચિત્રો, આ બધું જોઇ લાલા બિહારીલાલની દાનત બગડી. સંપત્તિનો મોહ માનવી પાસે શું શું નથી કરાવતો?

        સદા મૈત્રીને જોતી આંખ પર સ્વાર્થનાં ચશ્મા ચડી ગયાં. દ્રષ્ટી બદલાઇ એટલે સૃષ્ટી પણ બદલાઇ. લાલા બિહારીલાલે એક પછી એક મૂલ્યવાન વસ્તુ પોતાની કોઠી પર મોકલી આપવાની શરૂઆત કરી દીધી. એમ કરતાં લાલા હજારીપ્રસાદની કોઠીની લગભગ બધી અતિ મૂલ્યવાન વસ્તુઓ લાલા હજારીપ્રસાદે પોતાની કોઠી પર સેરવી દીધી.

        લાલા હજારીપ્રસાદ યાત્રામાંથી પરત આવતાં જોયું તો એમની કોઠી લગભગ ખાલીખમ થઇ ચુકી હતી. પણ! હજારીપ્રસાદ સાવ ભોળા, સરળ સ્વભાવનાં હતાં. મિત્રની આ પ્રપંચલીલાને પ્રથમ તો સમજી જ ન શક્યા, કદાચ થોડા દિવસ તેમને ત્યાં લઇ ગયા હશે એમ ધાર્યું. પરંતુ લાલા હજારીપ્રસાદે જ્યારે લાલા બિહારીલાલ સમક્ષ જઇ રજૂઆત કરી કે પોતાની તમામ વસ્તુ પરત આપે. ત્યારે બિહારીલાલે “તમારે ત્યાં જે કંઇ હતું તે એમ ને એમ જ છે. તમારૂં તો મહિનો દહાડો ઘર સાચવ્યું એનો આવો બદલો આપો છો એ પણ દોસ્ત થઇને? એક આબરૂદાર માણસ સામે આવી વાત કરતાં તમને શરમ ન આવી કે સંકોચ ન થયો. આવી ગળે પડવાની વાત કરી એટલે હજારીપ્રસાદ ભાંગી પડ્યા. જીવનની સંધ્યાએ લૂંટાઇ ચૂક્યા હતાં, અને વળી વધુ આઘાત તો એ વાતનો લાગેલો કે પોતાના જીગરજાન મિત્રએ જ તેમને લૂંટી લીધા હતાં.

        દુઃખી હ્રદયે તેઓ ઘરે પાછા ફર્યા. પત્નીએ આ વિગત જાણી. બંનેને એકીસાથે એક બુધ્ધિવાન સ્વજનની યાદ આવી. જેનું નામ હતું, મહેશદાસ બિરબલ. અકબર બાદશાહનાં નવરત્નો – ખાનખાનાન રહીમ, ટોડરમલ, અબુલફઝલ, ફૈઝી, મુલ્લાં દોપિયાઝી, મિયાં તાનસેન, હકીમ હમામ, માનસિંહ અને બિરબલ. આ નવરત્નોમાં બિરબલની ગણના પણ થતી. બિરબલ બુધ્ધિમાન હતો, વિચક્ષણ હતો, ભાંગ્યાનો ભેરૂ હતો. લાલા હજારીપ્રસાદે પોતાની વ્યથાની કથા બિરબલને સંભળાવી. બિરબલ કહેઃ “કોઇ સાક્ષી? કાંઇ લખાણ, કાગળ પત્ર?” લાલાજી કહે, “કાંઇ નથી. મારા માટે તો મૈત્રી એ જ વિશ્વાસ હતો”. બિરબલ કહે, “જરા પણ ચિંતા કરશો નહીં. તમારી એકે એક વસ્તુ તમને ઘર બેઠાં મળી રહેશે.” લાલાજી અને તેમનાં પત્નીને હૈયાધારણ મળી. બિરબલને તેમણે ભાવભરી વિદાય આપી.

        થોડા દિવસ પછી બિરબલે લાલા બિહારીલાલને પોતાના મહેલે બોલાવ્યા. ઉત્તમ પ્રકારની આગતાસ્વાગતા કરી, ખૂબ આત્મિયતા બતાવી અને ધીમા સ્વરે કહ્યું, “વાત અત્યંત ગુપ્ત છે એટલે હમણાં કોઇને કહેવાની ભૂલ કરશો નહીં. બાદશાહ સલામત દીવાન બદલવા ઇચ્છે છે, પરંતુ કોઇ લાયક વ્યક્તિ મળ્યા પછી જ. હવે ત્રણ લાયક વ્યક્તિઓમાં એક છે શેઠશ્રી બ્રિજભૂષણલાલજી, બીજા જનાબ ઇનાયતઅલી ખાન અને ત્રીજા છે…” બિરબલે ધીરેથી કહ્યું, “લાલા બિહારીલાલ.” પોતાનું  નામ એ પણ આવડા મોટા પદ, હોદ્દા માટેનાં ઉમેદવાર તરીકે બિરબલ જેવા રાજરત્ન પાસેથી સાંભળી બિહારીલાલ ખુબ ખુશખુશાલ થઇ ગયા. બિરબલે તેમનાં ચહેરાનાં ભાવોનું નિરીક્ષણ કર્યું. અન્ય વાતો થઇ. બિહારીલાલ હાથીની અંબાડી પર દિલ્હીનાં ચાંદની ચોઅકમાં પોતાને દીવાનનાં રૂપમાં જોઇ રહ્યા. એક સુંદર સ્વપ્ન સાથે બિહારીલાલ વિદાય થયા.

        બે મહિના પછી વળી બિરબલનું કે’ણ આવ્યું. લાલા બિહારીલાલ તરત જ તૈયાર થઇ ને બિરબલને ત્યાં પહોંચ્યા. બિરબલે એટલું જ જણાવ્યું કે, “વિશ્વાસુ અધિકારીઓ દ્વારા ત્રણેયનાં જીવન વિશે માહિતી ભેગી કરવાનું શહેનશાહે ફરમાન કર્યું છે.”

        પાછો એક મહિનો પસાર થયો. અચાનક એક રાત્રે બિરબલનું કે’ણ લાલા બિહારીલાલને આવ્યું. લાલા બિહારીલાલ તરત જ બિરબલ સમક્ષ હાજર થયાં. બિરબલે ઝીણી આંખ કરી કીધુ કે, “તમારે કોઇની સાથે કાંઇ વાંધો કે તકરાર હોય એવું તો નથી ને?” બિહારીલાલ પણ ઉસ્તાદ હતાં. “નહીં હજૂર, કોઇની સાથે કંઇ નથી. આપ હુકમ કરો તો મારા જિગરજાન દોસ્ત લાલ હજારીપ્રસાદને આપની સમક્ષ હાજર કરૂં.” સમયને પારખી લાલા બિહારીલાલે રજૂઆત કરી.

        બિરબલ કહે, “સાવધ રહેજો, એક વિશ્વાસુ, ઇમાનદાર ઇન્સાનની જહાંપનાહ બાદશાહ સલામતને જરૂર છે. આવો વિશ્વાસ તેમને થઇ જવો જોઇએ.” બિહારીલાલ કહે, “હજૂર, સમજદાર ઇન્સાનને ઇશારો જ કાફી છે.” આટલું કહી લાલા બિહારીલાલ બિરબલને ત્યાંથી વિદાય થયાં.

        બીજા જ દિવસે લાલા હજારીપ્રસાદની કોઠી પર તેમની એકે એક વસ્તુ પહોંચતી કરી દીધી. ચાંદીનો થાળ સાચા મોતીનો ભરેલો લાલા હજારીપ્રસાદની પત્નીને લાલા બિહારીલાલ તરફથી ભેટ આપવામાં આવ્યો, તેમજ સપરિવાર બિહારીલાલને ત્યાં ભોજ નું આમંત્રણ પણ આપ્યું.

        બંને મિત્રો મળ્યાં, સપરિવાર જમ્યા, સૌએ અલક મલકની વાતો કરી, ખુબ આનંદ કર્યો. આ તમામ વિગત બિરબલે જાણી. પંદરક દિવસ પછી તેમણે લાલા બિહારીલાલ ને પોતાને ત્યાં ફરી બોલાવી સમાચાર આપ્યા કે, “દીવાનનો પ્રશ્ન હમણાં થોડા સમય માટે બાદશાહે મુલતવી રાખ્યો છે.”

        ક્યારેક વિશુધ્ધ ઉદ્દેશ માટે નિઃસ્વાર્થ ભાવે બુધ્ધિમાનો મોટા સત્યને ખાતર નાના સત્યનો ભોગ આપી દે છે.

13 comments:

  1. મહેન્દ્ર ચોટલિયા6 August 2013 at 12:19

    અરે યાર તમે તો નાનપણ યાદ કરાવી દીધું. આપણી આખી આ પેઢી આ અકબર-બિરબલની વાર્તાઓ સાંભળીને મોટી થઇ છે. મજા આવી ગઇ યાર!

    જો તમને વાંધો ન હોય તો હજુ વધુ આવી વાર્તાઓ મુકશો એવું નમ્ર નિવેદન છે.

    ReplyDelete
    Replies
    1. સાચી વાત છે મહેન્દ્રભાઇ! હું, તમે આપણી આ આખી જનરેશન આ વાર્તાઓ સાથે મોટી થઇ. રહી વાત તમારા નિવેદનની. તો દોસ્ત, મારા વાચકો મને હક્કથી કહી શકે છે જે તેઓ વાંચવા ઇચ્છતા હો એ. જરૂરથી આવી વાર્તાઓ મુકીશ. થોડો સમય આપજો.

      આભાર. વાંચતા રહેજો...

      Delete
  2. Good Story.

    ReplyDelete
    Replies
    1. Thanks a lot dear. Keep reading, keep posting.

      Delete
  3. મેઘ ખાગડ7 August 2013 at 11:30

    આપણી આ પેઢીમાં અને આવનારી પેઢીમાં પણ ભાગ્યે જ કોઇ એવું હશે જેમને અકબર-બિરબલની વાર્તાઓ ન સાંભળી હોય.

    મજા આવી. વધુ મુકો એવી આશા.

    ReplyDelete
    Replies
    1. જરૂર તમારી આશા ખુબ ટુંકા સમયમાં પુરી કરવામાં આવશે. પ્રોમીસ...

      Delete
  4. વાર્તા સાંભળવાની માનવીની અદમ્ય વૃત્તિ હજી પણ એવી ને એવી જ છે.

    ReplyDelete
    Replies
    1. વાર્તાનું નામ પડતાં જ માહ્ય્લો બાળક જાગી ઉઠે છે દોસ્ત! આપણે સૌ એક સમયે બાળકો જ હતાને. અને વાર્તા તો સાંભળવી કોને ન ગમે હેં! હાં અહીં વાંચવી પડશે એટલું જ.

      Delete
  5. Fantastic Story.

    ReplyDelete
    Replies
    1. So nice of you dear. Thanks for your humble appreciation. Keep reading and dont forget to place your valuable comment.

      Thanks.

      Delete
  6. Good Story I like it.

    ReplyDelete