સુભાષ
ઘઇઃ ૧૯૭૬ થી ૨૦૦૮ સુધી. (‘કાલિચરણથી યુવરાજ સુધી’)
યુવાન સુભાષ ઘઇએ જ્યારે નિર્દેશનનાં ક્ષેત્રમાં
પ્રવેશ કર્યો હતો ત્યારે મનમોહન દેસાઇ અને પ્રકાશ મહેરા અમિતાભ બચ્ચન સાથે એક પછી એક
સફળ ફિલ્મોની વણથંભી વણઝાર લગાવેલી હતી. આ સમયમાં રાજ કપુર પોતાની શરતો પર પોતાની મનપસંદ
ફિલ્મો બનાવી રહ્યા હતાં. સુભાષ ઘઇએ પુનાની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી તાલીમ લીધી હતી
અને અભિનયમાં વિશેષ નિપુણતા મેળવી હતી. આમે, સુભાષ ઘઇની પહેલી પ્રાથમિકતા તો ફિલ્મોમાં
અભિનય કરવાની જ હતી. પરંતુ કોઇ કારણોસર આ મહેચ્છા પુરી ન થઇ અને તેની ભરપાઇ સ્વરૂપ
તેઓ તેમની દરેક ફિલ્મમાં કોઇને કોઇ રીતે એકાદ સીનમાં દેખા દે જ છે. પોતાની આ મનોરંજક
શૈલીથી દર્શક રાજા વચ્ચે સુભાષ ઘઇ પોતાની એક અલગ ઓળખ બનાવી દે છે. (વાચકમિત્રો વધુ
વિગત ફરી ક્યારેક)
સુભાષ ઘઇ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતાં એટલે
તેમણે ભારતિય સિનેમાનો ઇતિહાસ પણ આત્મસાત્ કરેલો. તેઓ એ જાણતા હતાં કે પોતાની મૌલિક
શૈલી વગર આ ફિલ્મી દુનિયામાં સ્થાન નહીં બનાવી શકાય. તેમની પહેલી ફિલ્મ ‘કાલીચરણ’ ૧૯૭૬
ની રજુઆતની તાજગીથી સ્વતંત્ર શૈલીનો વિકાસ શરૂ થયો. જેમાં એમણે એ સમયની હીટ જોડી શત્રુઘ્નસિંહા
અને રીના રોયને લીધા. પરંતુ ‘શોલે’ની સફળતાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા. એ પછી સુભાષ
ઘઇએ ફરી આજ જોડીને તેની ફિલ્મમાં રીપીટ કરી અને શત્રુઘ્નસિંહા-રીના રોય સાથે ૧૯૭૮માં
‘વિશ્વનાથ’ બનાવી. આ ફિલ્મે ઘઇને એક સફળ નિર્દેશકની
હરોળમાં લાવી દીધા અને શત્રુઘ્નસિંહાની કેરીયરની પણ આ ફિલ્મ, કાલિચરણની સાથે એક વધુ
હીટ ફિલ્મ રહી.
ત્યારબાદ ૧૯૭૯માં ફરી પાછી આ ત્રિપુટી (સુભાષ
ઘઇ, શત્રુઘ્ન સિન્હા અને રીના રોય) ‘ગૌતમ ગોવિંદા’ બનાવી. જે ટીકીટ બારી પર સુભાષ ઘઇની
અગાઉની બન્ને ફિલ્મોની જેમ દેખાવ ન કરી શકી. મોટા સ્ટારની શિસ્તનાં અભાવને કારણે આ
ફિલ્મનાં નિર્માણમાં ઘણો સમય લાગ્યો અને તેમણે અનુભવ્યું કે આ ફિલ્મમાં તેઓ પોતાની
કલ્પના સાકાર ન કરી શક્યા. તેમણે એ પણ અનુભવ્યું કે સમાધાન વગર ફિલ્મ બનાવવા ખુદ નિર્માતા
પણ બનવું પડશે. તેથી તેમણે પોતાની ફિલ્મ નિર્માણ કંપની ‘મુક્તા આર્ટ્સ’ ની સ્થાપના
૨૮મી ઓક્ટોબર ૧૯૭૮નાં રોજ કરી. એ પછી આવી ૧૯૮૦માં રીશી કપુર સાથે ‘કર્ઝ’. જે આજે પણ
હિન્દી ફિલ્મોમાં એક સુપર ડુપર હિટ ફિલ્મ તરીકે ગણાય છે. આ ફિલ્મ સુભાષ ઘઇએ પોતાનાં
બેનર હેઠળ બનાવી અને રાતોરાત સુભાષ ઘઇ અને મુક્તા આર્ટ્સ હિટ સુપર હિટ થઇ ગયા. આ ફિલ્મની
સાથોસાથ સુભાષ ઘઇની ફિલ્મો બનાવવાની શૈલી પણ સ્પષ્ટ થવા લાગી.
મોટા સ્ટારનાં વ્યવહારથી નારાજ સુભાષ ઘઇએ જેકી
શ્રોફ અને મિનાક્ષી શૈષાદ્રી સાથે સુપર હીટ ફિલ્મ ‘હીરો’ ૧૯૮૩માં બનાવી. અત્યાર સુધીમાં
સુભાષ ઘઇની તેમની પોતાની શૈલીનું સંગીત પણ સામે આવ્યું છે. તેમની ફિલ્મોમાં એક પાગલ
ખલનાયક જેમ કે સર જ્હોન અને ડો. ડેંગનાં પાત્રોનો વિકાસ થયો. અતિષ્યોક્તિવાળા આ પાત્રોને
દર્શક રાજાએ સ્વિકાર્યા. પોતાના નાયકની ક્ષમતાઓને ઉજાગર કરવા માટે તેમણે મજબુત ખલનાયક
બનાવ્યા. સુભાષ ઘઇએ અમિતાભ બચ્ચન સાથે ૧૯૮૮માં ‘દેવા’ ફિલ્મ શરૂ કરી અને લખલૂટ ખર્ચ
કર્યા પછી આ ફિલ્મને છેવટે પડતી મુકી. તથા નવા સાહસ અને હિંમત સાથે ૧૯૮૯ની સુપરહીટ
ફિલ્મ ‘રામ લખન’ બનાવી.
‘પરદેશ’માં સુભાષ ઘઇ પોતાની ફિલ્મ બનાવવાની
અને રજુઆતની શૈલીમાં પરિવર્તન લાવ્યા અને ડો. ડેંગ અને સર જ્હોનનાં પાત્રોમાંથી છૂટકારો
લીધો. એક ફિલ્મ દિગ્દર્શક માટે આ એક સારી બાબત હતી. પરંતુ બોક્સ ઓફીસ પર આનાથી તેમને
નુકસાન થયું. સુભાષ ઘઇથી તમામ શ્રેણીનાં દર્શક રાજા નારાજ થવા લાગ્યા અને ફિલ્મ ૧૯૯૯માં
આવેલી ફિલ્મ ‘તાલ’માં તેઓ ફક્ત બાલ્કનીનાં દર્શકોનાં જ પસંદગીમાં રહ્યા.
સુભાષ ઘઇની કંપનીને તેમની ૨૦૦૧માં આવેલી ફિલ્મ
‘યાદેં’ થી ફાયદો થયો પણ ફિલ્મનાં વિતરકોને નુકસાન ગયું. હવે સુભાષ ઘઇ પોતાની રીતે
નવા પરિવર્તન સાથે ફિલ્મ ‘કિસ્ના’ લઇને દર્શક રાજાને રિજવવાનો પ્રયત્ન કરે છે. તેમની
આ ફિલ્મનો નાયક વાંસળી પણ વગાડે છે અને હથીયાર પણ ચલાવે છે. સુભાષ ઘઇએ તેમની કારકિર્દીમાં
પહેલી વાર એક જૂના કાળખંડની પૃષ્ઠભૂમી પર ફિલ્મ બનાવી રહ્યા હતાં. આ ફિલ્મ જ્યારે સ્વાતંત્ર્ય
સંગ્રામ એનાં અંતિમ તબક્કામાં હતો ત્યારની કથાવસ્તુ ધરાવતી ફિલ્મ હતી. સુભાષ ઘઇએ તેમની
શૈલીમાં પ્રથમ વખત કથામાં ધર્મનો સમાવેશ કર્યો છે અને આધ્યાત્મનો સમાવેશ પણ કર્યો છે.
તેમ છતાં આ એક પ્રેમકથા બની રહે તે રીતે ફિલ્મ screenplay
માં કહેવામાં આવી છે. દેશપ્રેમની સાથે માનવતાનો નિર્વાહ કરતાં કરતાં ફિલ્મનાં નાયકને
યુધ્ધ પણ કરવું પડે છે. પરંતુ આ ફિલ્મનો નાયક વિજેતાનાં અહંકારથી મુક્ત છે અને તેને
પરાજયનો ભય નથી.
‘કાલિચરણ’ થી ‘યુવરાજ’ સુધી સુભાષ ઘઇનો આ અઢારમો
પ્રયાસ છે. આ દરમ્યાન તેમનાં બેનર ‘મુક્તા આર્ટસ’ ની નીચે ઘણાં નવા અને પ્રતિભાશાળી
નિર્દેશકોને તક આપવામાં આવી અને ઘણી ફિલ્મો નિર્માણ કરી. હાં! આ કાળક્રમમાં તેમણે ૧૯૭૬માં
બનાવેલી પહેલી ફિલ્મ ‘કાલિચરણ’ થી લઇને ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘યુવરાજ’ સુધીમાં તેમની
૩૨ વર્ષની સુદીર્ઘ કારકિર્દીમાં ફિલ્મો બનાવવાની તેમની શૈલીમાં અને ફિલ્મોનાં સંગીતમાં
ખુબ મોટો ફેરફાર કર્યો છે.
આજે ભારતિય સિનેમા જગતમાં સ્વ. યશ ચોપડા -
આદિત્ય ચોપડાનું યશરાજ બેનર, કરણ જોહરનું ધર્મા
પ્રોડક્શન બેનર અને રાકેશ રોશનનું ફિલ્મ ક્રાફ્ટ પ્રા. લી. બેનર ટોપ પર છે. જે કાળખંડમાં
કે સમયમાં આ ચારેય ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકો ટોચ પર પહોંચ્યા તે કાળખંડમાં સુભાષ ઘઇએ
તેમનું સ્થાન ગુમાવ્યું છે. યશ ચોપડાએ હંમેશા સુપરસ્ટારો સાથે તેમની મોટા ભાગની ફિલ્મો
બનાવી છે. રાજેશ ખન્ના (દાગ) થી લઇને શાહરૂખ ખાન (જબ તક હૈ જાન) સુધી. પરંતુ સુભાષ
ઘઇ ક્યારેય સ્ટાર પર આધારિત રહ્યા નથી. તેમણે તે સમયનાં ફ્લોપ એક્ટર્સ – કલાકારો જેમકે
જેકી શ્રોફ અને મિનાક્ષી શૈશાદ્રી સાથે સુપર હિટ ‘હિરો’ બનાવી. તેમણે બદનામ સંજય દત્તને
લઇને ‘ખલનાયક, ત્રિમૂર્તી’ બનાવી. એશ્વર્યા રાય સાથે નિષ્ફળ અક્ષય ખન્નને લઇને ‘તાલ’
બનાવી. વિવેક ઓબેરોય સાથે ખુબ ખર્ચાળ ‘કિસ્ના’ બનાવી. તો ‘યુવરાજ’ માં આજનાં પ્રમાણમાં
સાવ નિષ્ફળ એવી કેટરીના કૈફ અને ઝાયેદ ખાન સાથે બનાવી.
સુભાષ ઘઇએ એમની પુરી કારકિર્દી દરમ્યાન સૌથી
વધુ ફિલ્મો જેકી શ્રોફ અને અનિલ કપુર સાથે બનાવી. જે અંગત જીવનમાં તેમનાં ખુબ નજીકનાં
ગાઢ મિત્રો પણ છે. એક સાચો ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક પોતાની પ્રતિભા પર ભરોસો રાખીને
સ્ટારનાં સહારા વગર સફળ ફિલ્મ બનાવી શકે છે, આ વાત સુભાષ ઘઇએ પોતાની સફળતા સાથે સાબિત
કરી દીધી છે. સુભાષ ઘઇને રાજ કપુર બાદ સિનેમા જગતનાં ‘શો મેન’ નું બિરૂદ મળેલું છે.
હવે ફરી આ શો મેન ને કેમેરા પાછળ જવાનો મોકો
મળ્યો છે અને સુભાષ ઘઇ ટૂંક સમયમાં લાવે છે
ફિલ્મ ‘કાંચી’. જોઇએ સુભાષ ઘઇ, ધ શો મેન નો આ શો કેવો સફળ નિવડે છે. અત્યારે સુભાષ
ઘઇને શુભેચ્છા.
સ્ટ્રેટ ડ્રાઇવઃ સુભાષ ઘઇને ક્રેઇન પર ઝુલવુ બહુ ગમતું હોવું જોઇએ.
કા.કે તેઓ હંમેશ તેમનાં શોટ આ રીતે જ ક્રેઇન પર ઊંચેથી શોટ સેટ કરીને નીચે સુધી ક્યારેક
તો ૫૦ મી. ઊંચે છેકથી ક્રેઇન સાથે કેમેરો આર્ટીસ્ટનાં ક્લોઝ અપ પર સેટ કરે છે. ક્યારેક
સુભાષ ઘઇની કોઇ પણ ફિલ્મ ધ્યાન થી જો જો. આ એંગલ સમજાઇ જશે.