Tuesday 31 December 2013

RIP.... ફારૂખ શેખ…!

મિત્રો, સૌપ્રથમ તો આપ સહુને આવનાર વર્ષની ખુબ ખુબ શુભેચ્છા... પરમાત્મા કરે આપ સહુ વાચકજનો, આવનારા વર્ષમાં સ્વસ્થ રહો, ખુશ રહો, સંપથી રહો... વ્યસ્ત રહો - મસ્ત રહો.

Wishing you all a very HAPPY NEW YEAR....!

૨૦૧૩નાં વર્ષ દરમ્યાન આપણી વચ્ચેથી ખુબ નામવર અને પ્રતિભાશાળી વ્યક્તિઓ મૃત્યુ પામી. આ તમામ માન્યવરોને યાદ કરતાં આપણે હમણાં જ આપણી સૌ વચ્ચેથી ચાલ્યા ગયેલા ફારૂખ શેખ ઉર્ફે ફારૂખભાઇને આજે યાદ કરીશું.

આ લેખ મારા આ ગમતા અભિનેતાને સમર્પિત છે. લેખનાં અક્ષરો થોડા નાના છે, જેથી વધુ માહિતી સમાવી શકાય. થોડી અગવડતા પડે તો નિભાવી લેજો...

ફારૂખ શેખ… નિર્દોષ સ્મિત અને નિખાલસ વ્યક્તિ,

કવિવર સ્વ. સુરેશ દલાલની એક નાનકડી કવિતા યાદ આવે છે,
                   અમને માયા લગાડીને, છાયા ઉઠાવીને, મનગમતો માણસ એક ચાલ્યો ગયો...
                   લય-તાલે ઝૂલતો, સરવર જેમ ખૂલતો, ગુનગુનતો માણસ એક ચાલ્યો ગયો...
                   સ્મિત ભીનું મૂકીને, આંસુઓ લૂંટીને, હસતો-હસાવતો માણસ એક ચાલ્યો ગયો...
                   રણઝણતા ગીત મહીં, પાગલ આ પ્રિત મહીં, થનગનતો માણસ એક ચાલ્યો ગયો...

આ માણસ એટલે
        ફારૂખ શેખ… આ નામ સાંભળતા જ આપણી સામે એક એવો ચહેરો આવી જાય જે તમારા કે મારા ચહેરા જેવો જ આપણો જાણીતો ચહેરો લાગે અને એક બાળ સહજ નિર્દોષ હાસ્ય ધરાવતો નિખાલસ માણસ યાદ આવી જાય. ફારૂખ શેખ એક એવા કલાકાર હતા (!, હતા લખવું કેટલું નિર્દય લાગે છે.) શ્રી વજુ કોટકનાં શબ્દોમાં કહીએ તો વ્યક્તિ ત્યારે જ આપણા વચ્ચેથી ચાલી ગઇ કહેવાય જ્યારે તે નહોવા છતાંય એનાં હોવાનો ઝુરાપો કાયમ રહે અને હ્રદયમાંથી કાયમ એ ટીસ નીકળતી રહે કે આ વ્યક્તિને હવે ક્યારેય જોઇ નહીં શકીયે કે મળી નહીં શકીયે. સ્વજન જેટલાં જ આત્મજન લાગનારા આ વ્યક્તિ હતાં, ફારૂખ શેખ.

        ફારૂખ શેખમાં ક્યારેય ફિલ્મી એટીકેટ આવી જ નહીં. તે એટલા ડાઉન ટુ અર્થ વ્યક્તિ હતાં કે લાગે જ નહીં કે આ માણસ કેટલીયે ફિલ્મોનો હિરો રહે ચુક્યો છે અને તે બધી ફિલ્મો ખુબ ખુબ સફળ રહી છે. આ લખનારનું નમ્ર પણે એવું માનવું છે અને મારી આ વાત સાથે મારા વાચકો પણ સહમત થશે કે ફારૂખ શેખ જેવા અંગત જીવનમાં હતાં તેવાં જ ફિલ્મી પડદે પણ હતાં. ન કોઇ ખોટો દંભ કે દેખાડો. અત્યંત સાદગી અને વિનમ્રતા સાથેનું જીવન જીવનારી વ્યક્તિ. જે મનમાં એ જ હોઠોં પર. પીઠ પાછળ શું કામ કહેવું? એવું દ્રઢ પણે મનનારા ફારૂખભાઇ કોઇપણ વ્યક્તિને જે કંઇ કહેવું હોય તે હંમેશા તેનાં મોં પર જ કહી દેતા. ભલે ને મોટો ફિલ્મ મેકર હોય, કે દિગ્દર્શક હોય કે મોટી વ્યક્તિ નેતા – અભિનેતા.

        તેમનો એપ્રોચ અત્યંત સહાજીક જ રહેતો દરેક વ્યક્તિની સાથે. પછી એ મિલેનિયમ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હોય કે સાવ નવા સવા નિર્દેશક બનેલા એમ.એસ. સત્યુ. એમને ન તો કોઇ સિનેમા નાં મોટા પડદા પર કામ કરવાનો રૂઆબ કે ન તો નાના પડદા પર ટીવી સીરીયલ કરવાનો કોઇ પ્રકારનો ક્ષોભ એમનાં ભાગે જે કંઇ કામ અને જેવું કામ આવ્યું તે તેમણે પુરી લગન અને નિષ્ઠાથી નિભાવ્યું. જેટલી ઇમાનદારીથી તેઓ ફિલ્મ ‘ગર્મ હવા’ માં સિકંદર મિર્ઝા બનેલા એટલી જ સહજતાથી તેમણે અમિતાભ સાથેની ફિલ્મ ‘તૂફાન’ માં ગોપાલ શર્માનો અભિનય કરેલો.

        તેમની પુરી કેરીયર દરમ્યાન ફારૂખ શેખ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ધુરંધર નિર્દેશકો સાથે કામ કરેલું. જેમાં ઓસ્કાર એવોર્ડ વિજેતા સત્યજીત રૅ, નવાબ મુઝ્ઝફ્ફર અલી, હ્રિષી’દા (હ્રિષીકેષ મુખર્જી), કેતન મહેતા. આવા આવા ધુરંધર અને મંજેલા નિર્દ્શકો સાથે કામ કરી ચુકેલા ફારૂખ શેખે ટીવી ના પડદા પર પણ પોતાનાં અભિનયનાં ઓજસ પાથરેલા. ૧૯૮૬-૮૭માં દુરદર્શન પર આવતી સીરીયલ ‘શ્રીકાંત’ થી ફારુખ શેખ ટીવીનાં પડદા સાથે જોડાયા. આ સીરીયલ પછી લાંબા સમયનાં અંતરાલ બાદ ૧૯૯૫-૯૬માં સોની ટેલીવિઝન ફારૂખભાઇ ચમત્કાર નામની કોમેડી સીરીયલથી ટીવી પર છવાઇ ગયેલા. આ સીરીઅલમાં તેમણે એક બહેરા ક્લાર્કનો રોલ કરેલો. જે એક ઓપરેશન દરમ્યાન થતી નાનકડી ભુલને કારણે લોકોનાં મનની વાતો પણ સાંભળી લેતા હોય છે અને પછી જે કોમેડી થાય તેનાં થકી દર્શકો પેટ પકડીને હંસતા. આવી જ એક બીજી સીરીયલ હતી, ૧૯૯૮-૯૯માં સ્ટાર પ્લસની ‘જી મંત્રીજી’. જેમાં સીરીયલનાં નામ પ્રમાણે ફારૂખભાઇ મંત્રીજી બનેલા. અણઆવડત વાળા મંત્રી. આ સીરીયલ પણ દર્શકોમાં ખુબ પસંદ કરવામાં આવેલી. ખાસ તો રાજકારણીઓ પર બનેલી અને સુક્ષ્મ કટાક્ષ કરનારી સીરીયલને બુદ્ધિજીવી અને સામાન્ય વર્ગ એક તમામ પ્રકારનો દર્શકોનો અપાર સ્નેહ મળેલો અને એક સમયની સારી એવી ટીઆરપી ધરાવતી સીરીયલ હતી.

        આ સિવાય ઝી ટીવી પર ફારૂખભાઇ સંચાલકનાં રૂપમાં પણ આવેલા અને ‘જીના ઇસીકા નામ હૈ’ નામની સીરીયલ કરેલી. આ સીરીયલ સિનેજગતની જાણીતી હસ્તીઓનાં ઓપન ઇન્ટરવ્યુ પર આધારીત હતો. જેમાં મુખ્ય મહેમાન અને તેની સાથે જોડાયેલા લોકો, તેનાં મિત્રો, કુટુંબીજનો, સહપાઠી, સહકર્મચારી, વગેરે લોકોને બોલાવવામાં આવતાં. આ લોકોની સાથે મજાક અને અત્યંત આત્મિયતભર્યા વર્તનને કારણે આ શો દર્શકોમાં અને જે તે હસ્તીને પણ ખુબ પસંદ આવતો. જેમાં આ લખનારનો સૌથી ગમતો એપીસોડ, સંજય દત્તની મુલાકાતનો હતો. આ સીવાય ફારૂખભાઇ રેડીયો પર પણ પોતાનો હાથ અજમાવેલો, અને વિવિધભારતી પર પ્રસારિત થતો ક્વિઝ શોનું સંચાલન કરેલું. મુંબઇ દુરદર્શન પર આવતાં યુવાદર્શન અને યંગ વર્લ્ડ નામનાં શો થી એમને વધુ પ્રસિદ્ધી મળી. જેને કારણે ફારૂખ શેખનું નામ ઘર ઘરમાં જાણીતું થઇ ગયું.

        આમ, રંગમંચ, ફિલ્મો, ટીવી સીરીયલ્સ અને રેડીયો આ તમામ માધ્યમો દ્વારા ફારૂખ શેખ દર્શકો વચ્ચે રહ્યા અને ભરપુર સ્નેહ આપ્યો અને મેળવ્યો પણ. આવી વ્યક્તિ જ્યારે અચાનક આપણા વચ્ચેથી સાવ અચાનક અલવિદા લે ત્યારે મન અને હ્રદયને એક જબરજસ્ત આંચકો લાગે જ! જો આપણામાં માનવસહજ સંવેદના હોય અને ફિલ્મો પ્રત્યે વિશેષ લગાવ હોય. આ લખનારે જ્યારે આ સમાચાર ટીવીનાં પડદા પર વાંચ્યા કે જ્યારે કેજરીવાલનાં દિલ્હીનાં ૭માં મુખ્યમંત્રી તરીકેની શપથવિધી સમારોહનું પ્રસારણ થતું હતું, વિધવિધ ન્યુઝચેનલ પર જંપ મારી મારીને આ સમાચાર સાચા છે કે નહીં એની તપાસ કરી. કારણ કે ફારૂખ શેખ જીવનમાં અત્યંત સંયમ, સાદાઇ અને નિયમિતતા સાથે જીવનારી વ્યક્તિ હતાં. (! વળી પાછું ‘હતાં’) આવી વ્યક્તિને હાર્ટ એટેક અને એ પણ એક અને છેલ્લો? પણ આ કડવી વાસ્તવિકતા હવે સ્વિકારવી જ રહી કે ફારૂખ ભાઇ હવે આપણાં વચ્ચે સદેહે નથી.

        ફારૂખ શેખનાં તકિયા કલામ જેવો શબ્દ ‘અરે ભાઇ’ એ એટલી આત્મિયતાથી બોલતા કે સામે વાળો ઇચ્છે કે ન ઇચ્છે એક સંબંધ બાંધી બેસતો. થોડી ફારૂખભાઇ વિશેની માહિતી મેળવીએ.

        મિત્રો, જાણો છો કે ફારૂખભાઇ જન્મે ગુજરાતી બંદો હતાં. આજીવન તેમણે ગુજરાત સાથે અને તેમના વતન અમરોલી, વડોદરા જીલ્લામાં આવેલું ગામ સાથે નાતો સાચવી રાખેલો. અમરોલીનાં જમીનદાર પરિવારનાં નબીરા એવા ફારૂખભાઇ પરિવારનું સૌથી મુરબ્બી એટલે કે મોટું ફરજંદ હતાં. તેમનાં પિતા મુસ્તફા શેખ અને માતા ફરિદાને ફારૂખભાઇ સિવાયનાં બીજા ચાર સંતાનો હતાં. ભર્યોપુરો પરિવાર અને ઉપરથી જમીનદારી. ખુબ સગવડો અને ભૌતિકતા વચ્ચે ફારૂખભાઇ અને એમનાં ચાર ભાંડરડાઓ ઉછર્યા હતાં. મુંબઇની સેંટ મેરી સ્કુલમાં શરૂઆતનું શિક્ષણ મેળવ્યા પછી સીનીયર કોલેજ તેમણે સેંટ ઝેવિયર્સમાં કરી.

        પિતા એક સફળ વકિલ હોવાને કારણે સ્વાભાવિક રીતે પોતાની સફળતા પોતાનાં સૌથી મોટા પુત્રને વારસામાં આપી જવાની ઇચ્છા હોય, ફારૂખભાઇએ પિતાની ઇચ્છા મુજબ સિધ્ધાર્થ કોલેજ ઓફ લૉ માંથી કાયદાની પદવી પ્રાપ્ત કરી. ફારૂખભાઇએ પિતાની આજ્ઞાને તો શિરોધાર્ય કરી, પરંતુ જીવ હતો કલાકારનો… પછી કાયદાની આંટીઘુંટી ક્યાંથી ફાવે. સ્વભાવે સરળ એવા ફારૂખ શેખ વકિલાતમાં નિષ્ફળ ગયા અને પોતાની ઇચ્છા મુજબ અભિનયની દુનિયા ભણી પગરણ માંડ્યા.

        અભિનય પથ પર ડગ માંડતા શરૂઆતમાં ફારૂખ શેખ, નાટ્ક અને રંગમંચ સાથે સંકળાયા. સાથોસાથ ઇપ્ટા નામની સંસ્થા માટે કામ કરવાનું શરૂ કર્યું. ઇપ્ટા એટલે ભારતીય જન નાટ્ય સંઘ. આ સંસ્થા સાથે ફિલ્મ અને નાટ્ય જગતની ખુબ જ નામી ગીરામી હસ્તીઓ જોડાયેલી હતી અને છે પણ. જેમકે, ઉત્પલ દત્ત, પંડિત રવિશંકર, સલિલ’દા, પૃથ્વીરાજ કપુર વગેરે જેવા પ્રતિભાશાળી લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે, જેની સાથે આપણાં ફારૂખભાઇ જોડાયેલા.

        ફિલ્મોમાં ફારૂખ શેખ ૧૯૭૩માં બનેલી અને સાવ નવા નિર્દેશક બનેલા એવા એમ.એસ.સત્યુની ફિલ્મ ‘ગર્મ હવા’થી વિધીવત પદાર્પણ કર્યું. જે માટે તેમને રૂ. ૭૫૦/- નું માતબર મહેનતાણું ચુકવવામાં આવેલું. આ ફિલ્મમાં તેમની સાથે બલરાજ સહાની મુખ્ય ભૂમિકામાં હતાં અને ફારૂખ શેખ સહાયક અભિનેતા તરીકે. એ પછી ૧૯૭૪માં નિર્દેશક એ. સમશેરની ફિલ્મ ‘મેરે સાથ ચલ’ માં ડો. શ્રીરામ લાગુ, સ્મિતા પાટીલ સાથે ભૂમિકા ભજવી. આ ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી પણ વાત જેવી જામવી જોઇએ એવી જામતી નહોતી. બે-ત્રણ વર્ષ ફરી નાટક અને રંગમંચ પર વિવિધ ભૂમિકાઓ કરી અને મોટો બ્રેક મળ્યો સન ૧૯૭૭માં.

        સાહિત્યકાર મુન્શી પ્રેમચંદની કથા પર આધારિત ‘શતરંજ કે ખિલાડી’ ફિલ્મ મળી. આ ફિલ્મનાં નિર્દેશક હતાં, ઓસ્કાર એવોર્ડ વિનર એવા સત્યજીત રૅ. આ ફિલ્મમાં તેમની સાથે, સંજીવ કુમાર, સઇદ જાફરી અને શબાના આઝમી હતાં. નવાબ વાજીદઅલી શાહનાં પાત્રમાં આપણાં ‘ગબ્બરસીંહ’ એવા અમજદખાન હતાં. આ ફિલ્મ ખુબ વખાણાઇ. અને આ ફિલ્મમાં ફારૂખ શેખે ભજવેલુ ‘અકિલ’ નું પાત્ર પણ વખાણાયું. બસ ગાડી પાટા પર ચડી ગઇ. ફારૂખ શેખે પ્રતિભાશાળી અભિનેત્રી દિપ્તી નવલ સાથે જોડી બનાવી અને આ જોડીએ લગલગાટ ૭ ફિલ્મો સાથે કરી. અને ૭-૭ ફિલ્મ અત્યંત સફળ રહી. આ સિવાય ફારૂખ શેખની નોંધાપાત્ર ફિલ્મોની યાદી જોઇએ તો…’ગમન’, ‘નૂરી’, ‘ઉમરાવજાન’, ‘ચશ્મે બદ્દુર’, ‘સાથ સાથ’, ‘બાઝાર’, ‘કિસીસે ના કહેના’, ‘કથા’, ‘રંગબીરંગી’, ‘લાખોં કી બાત’, ‘અબ આયેગા મઝા’, ‘બીવી હો તો ઐસી’, ‘તૂફાન’ અને ‘માયા મેમસાબ’ રહી. સન ૧૯૭૩માં શરૂ થયેલી ફિલ્મી સફર ૨૦૧૩ સુધી લગભગ ૪૦ વર્ષ સુધી ચાલી. એમ સમજોને કે અંત તક રહી.

        કારણ કે, ફારૂખ શેખનાં અચાનક મૃત્યુ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જે જે લોકો સાથે ફારૂખભાઇ કામ કરી ચુકેલા કે કરતાં હતાં, એ તમામે પોતાનો શોક પ્રગટ કર્યો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટર્વ્યુમાં બોમન ઇરાની ફારૂખભાઇને શ્રદ્ધાંજલી પાઠવતા અને યાદ કરતાં કહે છે કે દુબઇથી પરત આવીને તેઓ મારી સાથે એક ફિલ્મમાં કામ કરવાના હતાં. અમુક ભાગ તો આ ફિલ્મનો ફિલ્માવાઇ ગયેલો. અને ફારૂખ શેખ સપરિવાર દુબઇ રજા ગાળવા ગયા. જ્યાં હ્રદયરોગનાં તિવ્ર હુમલાએ તેમની જીવનલીલા સંકેલી દીધી.

        ફારૂખ શેખનાં મૃત્યુનાં સમાચાર જાણીને દિપ્તી નવલને પણ ખુબ આઘાત લાગ્યો અને ત્યારબાદનાં તેમનાં એક ઇન્ટર્વ્યુમાં તેમણે જણાવ્યું કે, ‘ફારૂખ શેખ, માત્ર તેમની કેરીયર પુરતા જ નહીં પણ અંગત જીવનમાં પણ ખુબ નજીક હતાં. જીવનનો એક અગત્યનો હિસ્સો હતાં. તેમની અચાનક થયેલી વિદાય અત્યંત આઘાતજનક છે.’ દિપ્તીનવલની ફિલ્મી કેરીયરનો ફારૂખભાઇ એક અગત્યનો હિસ્સો હતાં એ એક નિર્વિવાદ વાત છે.

        યે જવાની હૈ દિવાની માં સ્ટાર રણબીર કપૂરનાં ઓનસ્ક્રિન પિતા બનતા ફારૂખ શેખનાં સ્નેપ્સ કે રશીઝ જોશો તો ખ્યાલ આવશે કે ૪૦-૪૦ વર્ષ જેટલી લાંબી મજાલ કાપ્યા પછી પણ આ માણસમાં રતીભરનો પણ ફરક ન્હોત આવેલો. જે નિખાલસતાથી તેમની ફિલ્મ ગમન, શતરંજ કે ખિલાડી કે કિસીસે ના કહેના કે ચશ્મે બદ્દુર કે તૂફાન કે માયા મેમસાબમાં એમનો અભિનય હતો એટલી જ સહજતા, સરળતા અને નિખાલસતા સભર એમનો અભિનય આ ફિલ્મમાં હતો. એજ ચિરપરિચિત હાસ્ય અને એજ ‘અરે ભાઇ બાત ક્યા હૈ, ક્યા બાત હૈ વો તો કહો…’ નો લય. કોઇ ફર્ક નહી.

        આવા ફારૂખ શેખની આ વર્ષનાં અંતમાં પડેલી ખોટ ક્યારેય ભરાશે નહીં. અફસોસ… કે હવે એ આપણી વચ્ચે નથી.

Wednesday 25 December 2013

અતિતની ધૂણી જેવી વિરહની વેદના… (ભાગ – ૨)


બીજી પ્રિયતમા વિરહની વ્યથાને જુદી વાચા આપે છે. એ કહે છે, હે કાગ, જ્યારે તું મારું શરીર ખાવાની શરૂઆત કરે ત્યારે ગોતી ગોતીને માંસ ખાજે પણ મારાં બે નયનો ન ખાતો, કારણ કે મને હજી પિયા મિલનની આશા છે.
‘કાગા જબ તુમ ખાઇયો, ચુન ચુન ખાઇયો માંસ,
દો નૈના મત ખાઇયો, મોહે પિયા મિલન કી આસ.’

        પરંતુ રાધાની વ્યથા, આંસુ અને આક્રોશે તો માઝા મૂકી દીધી છે. રાધા કાગાને કહે છે, હું કાળજું કાઢીને ભોંય પર મૂકી દઉં છું. તું એને લઇને ઊડી જા. જો માધવ મેડીએ બેઠા છે, એ ભાળે એમ તું મારૂં કાળજું ખા.
‘કાળજુ કાઢી ભોંય ધરૂં લઇ કાગા ઊડી જા,
માધવ બેઠા મેડીએ ઇ ભાળે એમ ખા.’

        માત્ર રાધાનાં હૈયામાં વેદન છે અને કૃષ્ણનાં હૈયામાં નથી એવું નથી. પણ રાધાની વેદનાને દુનિયાએ જાણી છે જ્યારે માધવની વેદના અજાણી છે. માધવે તો હૈયાનાં ગોખમાં એ વેદનાને સંઘરીને રાખી છે, હોઠ પર કદી આવવા દીધી નથી.
‘રાધાની વેદના તો દુનિયા એ જાણી,
પણ માધવની વેદના અજાણી,
હૈયાનાં ગોખમાં સંઘરીને રાખી,
હોઠ પર કદીય ન આણી.’

        પ્રિયતમની જુદાઇ કલેજામાં આગ દાગ લગાડી જાય છે. આ વિરહની વેદના અતીતની ધૂણી જેવી છે. જ્યારે ખોલો ત્યારે તેમાંથી આગ નીકળ્યા જ કરે.
‘સાજન ગયે બિછડ કે દઇ કલેજે દાગ,
જૈસે ધૂણી અતીત કી જબ ખોલો તબ આગ.’

        પ્રિયતમા, પ્રિયતમને કહે છે, ‘આપણે બેય એક નગરમાં વસીને ભીખ માંગીને ખાશું. પરંતુ પ્રીત વધારીને હવે તું દૂર દેશ ન જા.’
‘પ્રીતમ પ્રીતિ બઢાય કે દૂર દેશ મત જાય,
હમ-તુમ એક નગર બસી, ભીખ માંગ કે ખાય.’

        અલખની ધૂણી ધખાવી એક જોગી ધૂણી પાસે બેઠો છે. ત્યાં એક સુંદર યુવતી આવી, યોગી સામે નજર નોંધી પોતાનું પાત્ર લંબાવ્યું અને એટલું જ કહ્યું કે, ‘યોગી આગ આપશો?’ યોગીએ ધૂણામાંથી આગ તો આપી પણ અંગેઅંગમાં આગ વ્યાપી ગઇ. યોગીએ કહ્યું,
‘લેને આઇ આગ ઔર અંગ અંગ આગ દે ગઇ,
એક નૈન બાન મેં કરોડ બાત કહ ગઇ.’

        પિયુની યાદમાં જોગણ બની વન વન ભટકતી વિરહિણીએ નદીને કિનારે ધુમાડો જોયો અને હૈયામાં ફાળ પડી. ‘નદીકિનારે ધુમાડો જોઇ મારા હૈયામાં કાંઇક થવા માંડ્યું. જેના કારણે હું જોગણ બની છું, એની ચિતા તો નથી સળગતી ને?’
‘નદીકિનારે ધૂંઆ દેખ, મેરે મન મેં  કછુ હોય,
જિસ કારન મૈં જોગણ બની, કહીં ન વહ જલતા હોય.’

        પ્રાણથી પણ અધિક પ્રિય એવી રજપૂતાણીને મળવાનાં ઓરતા હૈયામાં સંઘરીને મારતે ઘોડે રજપૂત પોતાને ગામ પાછો ફરતો હતો ત્યાં પાદરમાં અમંગળનાં એંધાણા દેખાવા માંડ્યા. રજપૂતે પૂછ્યું તો જાણવા મળ્યું કે ‘રજપૂતાણીએ તો લાંબુ ગામતરું કર્યું છે.’ એ સીધો મસાણે પહોંચ્યો. પોતાની પ્રિય રજપૂતાણીને બદલે ભડભડ સળગતી ચિતા જોઇ રજપૂતનાં હૈયામાં વિરહની આગનાં ભડકા ઊઠ્યા. તેને થયું, ‘અરેરે! હવે મારે આ રાખ જ જોવાની રહી?’ ત્યાં તો ચિતાની રાખમાંથી થોડી ભેગી થઇ ઊડી અને રજપૂતનાં હોઠ માથે વળગી પડી.
‘કંથ કણકણે મહણમાં કે હવે મારે રાખ જ જોવાની રહી,
ત્યાં તો ભળેળીને ભેગી થઇ, વળગી હોઠે વિઠલા.’

        વિરહની વ્યથામાં શરીર લંકા બની જાય છે અને મન લંકેશ થઇ જાય છે અને વિરહ હનુમંત બની બધે આગ લગાડી દે છે.
‘આ તન તો લંકા ભઇ મન ભયો રાવણરાય,
બિરહ રૂપ હનુમંત ભયો દેત લગાય લાય.’

        દરદ દીવાની મીરાં કહે છે, ‘ધાન નથી ભાવતું, નિંદ્રા નથી આવતી. વિરહ સતાવ્યા કરે છે. ઘાયલ બની હું ઘૂમતી ફરું છું પણ મારું દરદ કોઇ જાણતું નથી.’
‘ધાન ન ભાવે, નીંદ ન આવે, બિરહ સતાવે મોય,
ઘાયલ સી મૈં ઘૂમત ફિરું, મેરો દરદ ન જાને કોઇ.’

        અરેરે આવી જો ખબર હોત કે પ્રીત કરવાથી આવું દુઃખ મળે છે તો તો હું નગરમાં ઢંઢેરો પિટાવી દેત કે કોઇ પ્રીત કરશો નહીં.
‘જો મૈં ઐસા જાનતી કિ પ્રીત કિયે દુઃખ હોય,
નગર ઢિંઢોરા પીટતી કિ પ્રીત કરો મત કોય.’

        પરંતુ છેવટે પ્રેમનો મારગ જ ત્યાગનો છે, બલિદાનનો છે, પ્રેમને માટે માથું મૂકી જ દીધું છે તો પછી હવે રોવું શું?
સમજ બુજ દિલ ખોજ પ્યારે,
આશિક હોકર સોના ક્યા?
જિસ નૈન સે નીંદ ગંવાઇ,
તકિયા લેફ બિછૌના ક્યા?
રૂખા સુખા રામ કા ટુકડા,
ચિકના ઔર સલોના ક્યા?
કહત કમાલ પ્રેમ કે મારગ,
શીષ દિયા ફિર રોના ક્યા?



- લેખક શાહબુદ્દિન રાઠોડનાં પુસ્તક ‘શો મસ્ટ ગો ઓન’ માંથી સહઆદર…

Friday 20 December 2013

અતિતની ધૂણી જેવી વિરહની વેદના… (ભાગ – ૧)

મિત્રો શાહબુદ્દિન રાઠોડ, માત્ર એક હાસ્ય કલાકાર નથી પણ એક ઊંચા ગજાનાં લેખક અને વાંચક પણ છે. તેમને પ્રસ્તુતીમાં ગુજરાતી ભાષાનાં ગામઠી અને તળપદી શબ્દોની મીઠાશ છે અને ઉજાસ છે એમની માર્મિક અને સરળ રજુઆતનો.

અત્રે પ્રસ્તુત લેખમાં શાહબુદ્દિન રાઠોડની ગંભીર બાજુની નોંધ લઇએ. શ્રોતાઓ સમક્ષ તે હંમેશ એક ઉમદા હાસ્ય કલાકાર બનીને પ્રસ્તુત થયા છે. પણ તેમનાં સ્વભાવની અને વાંચનની આ બાજુ પણ માણવા જેવી છે, જાણવા જેવી છે.

પ્રસ્તુત લેખ થોડો લાંબો હોવાને કારણે અને વાંચકો પુરો વાંચે અને વાંચતા વાંચતા કંટાળે કે થાકે એ પહેલા ક્રમશઃ કરીને અટકાવ્યો છે. માટે બે ભાગમાં મુકવામાં આવશે. જેથી કરીને મારા વાંચકો લેખને વાંચે અને પચાવે. જેમ ગમે એટલી ભૂખ લાગી હોય તો પણ પેટ ભરાઇ ગયા પછી વધુ જમવાની ઇચ્છા થતી નથી તેમ લેખ ગમે એટલો સરસ હોય પેટ ભરાય જાય એટલે બાકીનો વાંચવામાં બોજો પડે છે એક અજાણતો કંટાળો ચડે છે. માટે મારૂં નમ્ર નિવેદનને ધ્યાને લઇને આ લેખનાં બંને ભાગને પુરેપુરા વાંચી શકો, સમજી શકો અને પચાવી શકો એ સહેતુ આ લેખ બે ભાગમાં પ્રસ્તુત છે. જો કોઇ શબ્દ ન  સમજાય તો બેજીજક કોમેન્ટ દ્વારા પુછજો. જવાબ પણ આપીશ અને એ કહેવા પાછળનો ભાવ પણ સમજાવીશ. તો પ્રસ્તુત છે…

અતિતની ધૂણી જેવી વિરહની વેદના… (ભાગ – ૧)

        વિરહની કટારી હૈયામાં પ્રથમ ભોંકાય છે પછી એમાં ને એમાં ભાંગી જાય છે અને જ્યારે તેમાંથી ટપક ટપક લોહી ટપકવા માંડે છે – જે વ્યથા જન્મે છે –

        એ વ્યથા જો ચિત્ર દ્વારા વ્યક્ત થાય તો મહાન ચિત્રકાર લિયોનાર્દો દ વિન્ચીનાં ‘મોના લિસા’ જેવા યાદગાર ચિત્રનું સર્જન થાય.

        એ વ્યથા જો શિલ્પ દ્વારા વ્યક્ત થાય તો સુપ્રસિદ્ધ શિલ્પી માઇકલ એન્જલોનાં અમર શિલ્પ ‘સૉરો ઇન સ્ટોન’ જેવી કૃતિ રચાય.

        એ વ્યથા જો સ્થાપત્ય દ્વારા વ્યક્ત થાય તો મશહૂર સ્થપતિ ઉસ્તાદ ઇસાનાં અણમોલ સ્થાપત્ય ‘તાજમહાલ’ જેવી યાદગાર ઇમારત જગતને મળે.

        એ જ વ્યથા, એ જ દુઃખ જો સાહિત્ય દ્વારા વ્યક્ત થાય તો? આવાં મહામોલાં મોતીઓ વેરાવા માંડે.

        દેશ સૂનો કરીને સોનું લેવા પિયુ ગયો એ તેને ન મળ્યું. પ્રિયતમાને પિયુ ન મળ્યો. મળી માત્ર પ્રતિક્ષા, જેમાં રૂપા જેવા શ્વેત કેશ બની ગયા.
‘સોના લેને પિયુ ગયે સૂના કર ગયે દેશ,
સો ના મિલા પિયુ ના મિલા રૂપા બન ગયે કેશ.’

        પતિ મોતી લેવા જાય છે, પત્ની ઘરે રોતી રહે છે અને નિશ્વાસ નાખે છે એ પ્રદેશ જલી જજો જ્યાં મોતી નીપજે છે.
‘પતિ ગયે પરદેશ પ્રિયા રહી ઘર રોતી,
જલ જાઓ ઉસ દેશ જહાં નિપજત મોતી.’

        ‘હું જાઉં છું. જલ્દી આવીશ, તરત જ આવી જઇશ. આ તિથિએ ચોક્કસ.’ આવા અનેક કોલ આપીને પ્રિયતમ ગયો. ગયો તે તો ના આવ્યો પણ તિથિઓની ગણતરી કરીકરીને પ્રિયતમાની આંગળીની રેખાઓ ઘસાઇ ગઇ.
‘આવત આવત કહે ગયે, દે ગયે કૌલ અનેક,
ગિનતે ગિનતે ઘિસ ગઇ, મેરી અંગુલિયોં કી રેખ.’

        કાદવ અને પાણીને પ્રીત છે. પાણી સુકાઇ જતાં કાદવનાં હૈયામાં તિરાડો પડી જાય છે. આ જોઇને પ્રિયતમા હૈયાને ઠપકો આપે છે કે કાદવનાં કટકા નીર વીણ નોખા થઇ ગયા. પણ ફટ રે ફટ હૈયા સાજણ જવા છતાં તમે સાજાં રહ્યા?
‘કાદવનાં કટકા ઇ નીર વિણ નોખાં થીયાં,
પણ ફટ રે ફટ હિયા, સાજણ જાતાં સાજા રીયાં.’

        સાજણ તમારા સ્નેહમાં મારૂં આખું શરીર સુકાઇ ગયું પણ આ પાપી નયનો ન સુકાણાં, ઊલટાનાં એ તો ભરી ભરી નીર લાવ્યાં.
‘સાજણ તમારા સ્નેહમાં, સુકાણાં અમ શરીર,
એક પાપી નૈણાં નો સૂકયાં ઇ તો ભર ભર લાવ્યાં નીર.’

        લાકડું સળગે છે કોલસો બને છે. કોલસો સળગે છે અને રાખ બની જાય છે. પણ હું અભાગણ જીવતરમાં એવી સળગી છું કે નથી કોલસો બની કે નથી રાખ બની.
‘લકડી જલી કોયલા ભયા, કોયલા જલા ભઇ રાખ;
મૈં અભાગિન ઐસી જલી, ન કોયલા ભઇ ન રાખ.’

        વિરહમાં તડપતી સ્ત્રી અને કાગનો નાતો પુરાણો છે. પ્રિયતમા કાગને કહે છે, હે કાગ, હું મારી બંને આંખો તને કાઢીને આપું છું. એ લઇને તું મારા પ્રિયતમ પાસે જા, પહેલાં એમનાં દર્શન આંખોને કરાવજે અને પછી તું ખાઇ જજે.
‘કાગા નૈન નિકાલ દૂં જો પિયુ પાસ લે જાય,
પહલે દર્શ દિખાય કે, ફિર લિજો ખાય.’

(ક્રમશઃ)


Sunday 15 December 2013

છોટી સી બાત - ૧૯૭૬

મિત્રો, આજે જે ફિલ્મ વિશે વાત કરવાની છે તે આ લખનારને જેટલા વર્ષ થયા એટલા વર્ષ જુની છે. મતલબ કે ફિલ્મ ‘છોટી સી બાત’ સન ૧૯૭૬માં રીલીઝ થયેલી. હકીકતે તો ૩૧-ડીસેમ્બર-૧૯૭૫નાં રોજ રીલીઝ થયેલી. પણ છેવટે ગણાય તો ૧૯૭૬ની જ.


        અને ૧૯૭૬માં બીજી પણ કેવી કેવી ધુંઆધાર ફિલ્મો આવેલી. એક યાદી જુઓ. શરૂઆત થઇ, રીશી કપુર અને રંજીતાની ‘લૈલા મજનુ’, પછી આવી, અમિતાભ બચ્ચન (સુપર ડુપર સ્ટાર) અને વિનોદ ખન્નાની ‘હેરા ફેરી’, સુભાષ ઘઇ, શત્રુધ્ન સિન્હાની ‘કાલિચરણ’, અમિતાભ બચ્ચન (સુપર સ્ટાર)ની મારી ઓલટાઇમ ફેવરીટ એવી યશ ચોપરા નિર્દેશીત ‘કભિ કભી’, રાજેશ ખન્ના અને હેમા માલિની અભિનીત, ‘મેહબૂબા’, દિલીપ કુમાર અને લિના ચંદરવારકરની ‘બૈરાગ’. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ‘ચરસ’. આ સાલમાં અમિતાભ ‘દ સુપર સ્ટાર’ની ચાર ફિલ્મો આવી, ‘હેરા ફેરી, કભી કભી, દો અંજાને અને અદાલત’. ચારેય ફિલ્મોએ સારો વકરો કર્યો. એમાં ‘કભી ક્ભી’ એ સુપરહીટ ફિલ્મોમાં અગ્રેસર રહી. અમોલ પાલેકરની ‘ચિતચોર’ પણ આ જ સાલમાં રીલીઝ થઇ.

        આવી સુપર હિટ ફિલ્મોનાં ઘોડાપુર વચ્ચે પણ એક સીધીસાદી, સામાન્ય માણસને રીલેટ (Relate) થઇ શકે એવી ફિલ્મ ‘છોટી સી બાત’. આ ફિલ્મમાં અમોલ પાલેકર ‘હિરો’ તરીકે હતો. અમોલ પાલેકરને જુઓ તો એમ લાગે કે આ તો આપણાં ઘર પાસે, સડક પર, રોજ રોજ સામે મળતી વ્યક્તિ જેવો છે. અમોલ પાલેકરનો મોટો ગુણ એ હતો કે ફિલ્મમાં તે હિરો હોવા છતાંયે હિરો  જેવો લાગતો નહોતો. તેને જોતાં એમ લાગે કે આ તો આપણે જ છીએ. આટલી હદ સુધી આ કલાકાર ઓડિયન્સને અપીલ કરી શક્તો. તો ફિલ્મની હિરોઇન એવી વિદ્યા સિન્હા…! સુંદર, અતિ સુંદર છતાં ભારોભાર નમણાશ ધરાવતી આ હિરોઇન પણ લેડી અમોલ પાલેકર સમજો. સરળ, સહાજીક અને સુંદર અભિનય કરનારી આ યુવતી ૧૯૭૦ નાં દશકમાં ફિલ્મોમાં આવી અને હવે ઉંમર થઇ ગયી હોવાની કારણે આજે દાદી અને માં ની ભુમિકા ટીવી સિરિયલ્સમાં કરે છે.

 છોટી સી બાત, બી.આર.ફિલ્મ્સ દ્વારા નિર્માણ પામેલી આ ફિલ્મનાં નિર્દેશક છે, બસુ ચેટર્જી’. ફિલ્મની કહાની ‘બાસુ ચેટર્જી અને શરદ જોષી એ લખી છે, પટકથા(સ્ક્રીન પ્લે) બાસુ ચેટર્જીની છે, સંવાદો પણ બાસુ’દાનાં જ છે. ફિલ્મનું મધુર સંગીત સલીલ’દા એ આપ્યું છે. આ ફિલ્મમાં અમોલ પાલેકર અને વિદ્યા સિન્હા સિવાય, અશોક કુમાર અને અસરાની પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, હેમા માલિની અને અમિતાભ બચ્ચન પણ એકાદ સીન પુરતા ફિલ્મમાં આવે છે. આ લોકોની ભૂમિકા ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકેની છે એમ કહી શકાય.

        આ ફિલ્મ સ્ટિફન પોટ્ટર નામનાં લેખકનાં પુસ્તક ‘ગેમ્સમેનશીપ’ પરથી બનાવવામાં આવેલું ૧૯૬૦નાં એક બ્રિટીશ કોમેડી નાટક ‘સ્કુલ ઓફ સ્ક્રાઉન્ડલ્સ’ (લુચ્ચા કે દ્રુષ્ટ લોકોની શાળા) પર આધારીત છે.

        તો મિત્રો હવે વાત કરીએ ફિલ્મની કહાનીની. કહાની મારી, તમારી આપણા સૌને જીવનમાં કોઇવાર આ હકીકતોનો કે આ પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો હોય જ એવી છે. અમોલ પાલેકર (અરૂણ પ્રદીપ) એક મીડલ ક્લાસ અપરિણિત નવયુવાન? છે. જે તેની ઓફિસ જે બિલ્ડીંગમાં હોય તે જ બિલ્ડીંગમાં બીજી કંપનીની ઓફિસમાં કામ કરતી વિદ્યા સિન્હા (પ્રભા નારાયણ)ને મનોમન ચાહતો હોય છે. બમ્બૈયાભાષામાં અરૂણભાઇ પ્રભાને પટાવવા કે તેનું ધ્યાન ખેંચવા રોજ ફિલ્ડીંગ ભરે છે. પણ હાય રે બરહેમ કિસ્મત…! ભાઇનું હંમેશા પોપટ થઇ જતું હોય છે. કારણ?

        તો કારણ ફકત એટલું જ કે અરૂણ માનસિક રીતે ખુબ જ શરમાળ, ડરપોક, ભીરૂ અને ગભરૂ વૃત્તિ ધરાવનારો યુવાન? હોય છે. સામે પ્રભા અત્યારની અને ત્યારની પણ દરેક યુવતિની માફક ચંચળ અને આઝાદ ખ્યાલો ધરાવતી હોય છે. તે આવા લલ્લુની સામે જોતી પણ નથી. જો કે દોસ્ત… હારે એ બીજા પણ અરૂણ પ્રદીપ નહીં. અરૂણભાઇ પ્રભાને ઇમ્પ્રેસ કરવા પોતાનાથી થતું બધુ કરી છુટે છે. પણ પ્રભા એની ઓફિસમાં લીગલ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે કામ કરતાં, નાગેશ શાસ્ત્રિ (અસરાની) થી વધુ આકર્ષાયેલી હોય એવું ફિલ્મમાં થોડી વાર પુરતું લાગે પણ..! પણ પ્રભા એક સંસ્કારી અને ઘરરખ્ખુ યુવતી છે, તે નાગેશની હોંશીયારી, આત્મ વિશ્વાસ અને હિંમતને માન આપે છે પણ તેને ચાહવાની વાત… ના રે ના. બા ખીજાય હોં.

        આ બાજુ નાગેશથી ડગલે ને પગલે મળતી હારથી ખિન્ન થયેલો અરૂણ છેવટે પહોંચે છે, ખંડાલા. અહીં એક રીટાયર્ડ કર્નલ જુલિયસ નાગેન્દ્રનાથ વિલ્ફ્રેડ સિંઘ (આ એકજ કેરેકટરનું નામ છે) બનેલા અશોક કુમાર રહે છે. જે આવા લોકોને મદદ કરવા હંમેશા તૈયાર હોય છે જે કોઇને ચાહતા તો હોય પણ આત્મવિશ્વાસ અને હિંમતનાં અભાવે જે તે પાત્રને કહી શકતા ન હોય. આવા લોકોમાં આત્મવિશ્વાસ જગાવવાનું અને એને એવી એવી કળાઓ શીખવવાની કે જેનો ઉપયોગ કરીને તે પોતાનાં પ્રેમીપાત્રને મેળવી શકે. એમ સમજોને કે કર્નલ સાહેબ એક સાયકો થેરાપિસ્ટનું કામ કરે છે. કર્નલ સાહેબ અહીં અરૂણ પ્રદિપને એક શરમાળ, ગભરૂ, ગમાર, આત્મ વિશ્વાસની કમીથી ભરપુર અને અંતરમુખી વ્યક્તિમાંથી, પરિપક્વ, આત્મ વિશ્વાસથી ભરપુર, અને પ્રતિભાવંત યુવાન બનાવે છે. આ માટે કર્નલ સાહેબે પોતાનાં અનુભવો પરથી એક ટેકનિક તૈયાર કરેલી હોય છે જેને અજમાવવાથી કે ઉપયોગ કરવાથી વ્યક્તિ પોતાની મરજી મુજબનું પરિણામ મેળવી શકે છે.

        આમ, એક ચીમળાયેલા, કરમાયેલા અને મુડદલ અરૂણ પ્રદિપમાંથી એક યુવાન, તેજ તરવરાટથી ભરપુર, ચપળ, ચાલક અને ચાલબાજ અરૂણ બનીને મુંબઇ પરત આવે છે, પોતાના પ્રેમીપાત્રને પામવા. કર્નલ સાહેબની સીખવેલી ટેકનિકનો ઉપયોગ કરીને અરૂણ માત્ર પ્રભાનું ધ્યાન પોતાનાં તરફ ખેંચી શકે છે એટલું જ નહીં પણ તેને પામવાનાં રસ્તામાં મોટી અડચણ એવા માત્ર ‘બાંતોકે ધની’ એવા નાગેશને પણ સીધો કરી નાંખે છે. પ્રભાનાં મનમાં પોતાનાં માટે કુણી લાગણીઓ જગાવવામાં સફળ થયેલો અરૂણ છેવટે પ્રભાને મેળવીને જ જંપે છે.
       
        આમ, અરૂણ પ્રદિપ અને પ્રભા નારાયણ એકબીજા સાથે લગ્ન કરીને સુખી જીવન જીવવાનાં પંથ પર અગ્રેસર થાય છે અને ફિલ્મ અહીં પુરી થાય છે.

        આ ફિલ્મ જોતાં લગભગ દરેકનાં મનમાં એક વાર તો એમ થયું જ હોય કે કાશ…! આપણને પણ કોઇ કર્નલ મળી ગયા હોય તો આજે જેની સાથે છીએ એનાં કરતાં જેની સાથે હોવું ‘તું એ હોત. (હવે આ ખયાલ મનમાં જ રાખવો અને ગાલીબને યાદ કરવા કે, ‘દિલ બહેલાને કે લિયે ગાલિબ યે ખયાલ અચ્છા હૈ… વગેરે વગેરે.)

        ખુબ સીધી સરળ અને સંપુર્ણ પારિવારીક ફિલ્મ એવી આ ‘છોટી સી બાત’. લેખની શરૂઆતમાં જણાવ્યા મુજબ સુપર હિટ ફિલ્મોનાં ઘોડાપુર સામે પણ સફળ ગઇ અને લોકોને ખુબ પસંદ પડી.. કેમ ન પડે દોસ્ત. કહાની દર બીજા કે ત્રીજા પ્રેક્ષકની જ હતીને…! ફિલ્મમાં ફિલ્મની કહાનીની જેમ જ સીધા સરળ શબ્દો ધરાવતાં ગીતો હતાં જેને ગીતકાર ‘યોગેશે’ લખેલા.

        યેશુદાસ અને આશ ભોંસલેનું યુગલ ગીત, ‘જાનેમન જાનેમન’ ફિલ્મમાં ડ્રીમ સિક્વન્સ પર છે. આમે આ ફિલ્મમાં અરૂણને જાગતી આંખે વારંવાર સપનામાં ખોવાઇ જવાની આદત હોય છે. ફિલ્મ જોવાથી એ ખબર પડશે કે ઉભો હોય ક્યાંક અને ભાઇ મનોભાવમાં વિહરતા હોય ક્યાંક. બીજું ગીત છે, મુકેશનાં અવાજમાં હેપી સોંગ ‘યે દિન ક્યા આયે, લગે ફુલ હંસને’ અને ‘ન જાને ક્યું, હોતા યે ઝિંદગી કે સાથ, અચાનક યે મન, કીસીકે જાને કે બાદ, કર ફિર ઉસકી યાદ, છોટી છોટી સી બાત’ એમ ટાઇટલ ટ્રેક છે જે લત્તા મંગેશકરે અને એકવાર મુકેશ અને લતાજીએ યુગલમાં ગાયું છે. બધા ગીતો સાંભળવા અને જોવા ગમે એવાં છે.

        હાથમાં અખબાર, બોલબોટમ પેન્ટ અને ઓપન શર્ટ પહેરેલો અરૂણ એટલે આપણા ગલી અને મહોલ્લાનો જ એક નવયુવક જોઇલો. જે વારંવાર નર્વસ થતાં પોતાનાં નાકને ખંજવાળતો હોય એવો, અને સીધી સરળ, નમણી એવી વિદ્યા એટલે ફુલ ફુલ ડિઝાઇનવાળી સાડી પહેરીને રોજ નીકળતી મહોલ્લાની યુવતી. બંને પાત્રો એક સામાન્ય અને રોજીંદા જીવનમાં હરરોજ સેંકડો વાર સામે મળતા હોય એટલી હદ સુધીનાં પોતીકાં લાગે છે.

        આ ફિલ્મે એ જમાનામાં પણ, અને આટ આટલી સુપર હીટ ફિલ્મની વણઝારમાં પણ એ વર્ષનાં ફિલ્મફેર એવોર્ડમાં છ-છ કેટેગરીમાં નોમીનેટ થયેલી. ‘શ્રેષ્ઠ ફિલ્મ’, ‘શ્રેષ્ઠ નિર્દેશક’, ‘શ્રેષ્ઠ અભિનેતા’, ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા (અશોક કુમાર)’, ‘શ્રેષ્ઠ કોમેડિયન (અસરાની)’, અને ‘શ્રેષ્ઠ પટકથા(બસુ’દા)’. આ તમામ કેટગરીમાં ફિલ્મને શ્રેષ્ઠ પટકથા માટે બાસુ’દાને ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

        આમ, આ ફિલ્મ એક સામાન્ય દર્શકને પણ પોતીકી લાગે એ હદ સુધીની સરળ અને સીધીસાદી છે. માટે મિત્રો, એક વાર તો આ ફિલ્મ જરૂર જોજો. (જો ન જોઇ હોય તો, અને જોઇ હોય તો ફરીવાર) 



Tuesday 10 December 2013

ભગવાન અને સંત એ જ છે મીઠી ડાળ…


        અમેરિકાનાં કલીવલેન્ડ નગરમાં અક્ષર પુરષોત્તમ સંસ્થાનાં વડા પ્રમુખ સ્વામી મહારાજ માટે નાગરિક સન્માન યોજાયું હતું. ક્લીવલેન્ડનાં મેયરે પ્રમુખસ્વામીની પ્રતિભા અને ગરિમાએ પડેલા પ્રભાવની વાત કરી અને પછી જાહેર કર્યું કે ‘નાગરિક સન્માનનાં પ્રતિક રૂપે હું ક્લીવલેન્ડ નગરની ચાવી પૂ. પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરૂં છું.’ પ્રમુખસ્વામીએ પોતાઈ બાહુમાં પધરાવેલા ભગવાન ઠાકોરજી સામે જોઇને કહ્યું કે ‘ચાવી ઠાકોરજીને અર્પણ કરો. સન્માન તો ભગવાનનું હોય, આપણું સન્માન ન હોય!’

        પ્રમુખસ્વામીને કોઇ પિષ્પમાળા ધરે તો એ પ્રથમ ઠાકોરજીને ધરાવવા કહે. જે કંઇ નગરોની ચાવી મળે તેને ઠાકોરજીને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાની એમની પરંપરા મજાની છે. એમાં ‘હું’ ઓગળી જતો હોય છે. ‘આ મારા માટે છે કે આ મારૂ સન્માન છે’ એવી લાગણીનું વિસર્જન થાય છે. જે કંઇ છે એ પ્રભુનું છે, પરમાત્માનું છે, ઠાકોરજીનું છે, અને એમના પ્રસાદ તરીકે જ મારી પાસે આવે છે, એ ભાવનાથી સુખ કે વિષાદ કોઇ લાગણી સ્પર્શી શકતી નથી. માન કે અપમાનનો કોઇ સ્થૂલ પ્રભાવ રહેતો નથી. કોઇ સન્માન કરે તો એ પ્રભુનો પ્રસાદ છે, એમ માનવું. કોઇ અવમાનના કરે કે અપમાન કરે ત્યારે પ્રભુ સાથે આવું વર્તન કેમ કરતાં હશે આ લોકો, એવો વિચાર મનમાં લાવી અપમાન કરનાર પ્રત્યે અનુકંપા અને દયાભાવ રાખવો. પૂ. પ્રમુખસ્વામી મહારાજ આ જ વાત શીખવે છે.

        જે કંઇ મળે તેનો પ્રભુનો પ્રસાદ ગણવાની પરંપરા ક્યારેક ક્રિયાકાંડ બની જતી હોય છે. યંત્રવત બધું થતું હોય એવો અનુભવ પણ આપણે એ ક્રિયાકાંડને અનુસરીએ ત્યારે લાગે. ઘણી વાર આપણે પણ ઉ્ચ્ચારીયે છીએ કે ‘આ સન્માન મારૂં નથી. આ તો હું સમાજ વતી સ્વિકારૂં છું.’ પણ ભીતર તો આપણુમ કેવું સન્માન થયું તેનો ઉછાળો હોય છે. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારે પુષ્પમાળાથી માંડી પ્રસાદ સુધી બધું જ પ્રભુને અર્પણ કરે, ત્યારે તેમાં ક્યાંય ક્રિયાકાંડ દેખાતો નથી. ભગવાન માટેની એમની અપાર સમર્પણ વૃત્તિ જોઇ એક હરિભક્તે કહેલું કે ‘સૌમાં ભગવાનનો વાસ છે, પણ પૂ. પ્રમુખ સ્વામી મહારાજમાં તો ભગવાન સિવાય બીજું કંઇ નથી.’

        આ અનુભવ આ લખનારનો એકનો નથી, પરંતુ આ દિવ્ય વિભૂતીને મળનાર કે તેની સમીપ જનાર દરેક વ્યક્તિનો છે કે તેમનાં સાંનિધ્યમાં જતાં જ કે તેમનાં દર્શન માત્રથી જ તમારી અંદરનાં સંતાપ, ઇર્ષ્યા, મોહ, માન-અપમાનની લાગણી આ તમામથી પર થઇ જતાં હોઇએ છીએ. તેમનાં દર્શન કે આશિર્વાદ માત્રથી ધન્યતા અનુભવીએ છીએ. આ તેમની દિવ્યતાનું પરિણામ છે. છતાંયે કોઇ તેમને કહે કે, ‘ફલાણી જગ્યાએ ભવ્ય સભા થઇ.’ તો સ્વામી બાપા જવાબ આપે કે, ‘યોગીબાપાનું કામ હતું એટલે મહારાજે દિપાવ્યું.’ અમદાવાદનો, કે સાળંગપુર કે ગઢડા કે દિલ્હીનો સમૈયો સફળ બનાવવા સંતોએ હરિભક્તો એ કેટલી જહેમત ઉઠાવી કે પારાવાર પરિશ્રમ કર્યો. તેની વાત કરતાં પ્રમુખ સ્વામી કદી ન થાકે. કેટકેટલા સંતો અને હરિભક્તોએ પ્રદર્શન ગોઠવવામાં કે સંમેલનનાં આયોજનમાં રાત-રાતનાં ઉજાગરાઓ કર્યા હતાં એ સ્વામીબાપા હંમેશા હોંશથી કહે. પણ જો કોઇ એમ કહે કહેવા જાય કે પ્રમુખવામીની પ્રેરણાનો આ ચમત્કાર છે તો એ નિખાલસ સરળતાથી કહેશે કે, ‘મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીનો આ પ્રતાપ છે.’ અથવા તો એમ કહેશે કે, ‘શાસ્ત્રીજી મહારાજે આ સત્સંગ પ્રવર્તાવ્યો છે.’

        પૂ. પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગ વિકસાવ્યો અને કેવો વિકસાવ્યો… અદ્દ્ભૂત રીતે. ખેડૂત ખીલો ખોડીને પછી તેને હલાવી જુએ તે પાછો ખેંચી લેવા નહીં, પણ હલતો હોય તો મજબૂત કરવા માટે. કોઇ પ્રમુખ સ્વામીનાં આશિર્વાદ માંગે તો સ્વામીબાપા કહે કે, ‘મહારાજનું સ્મરણ કરી કામ કરજે. ફત્તેહ થશે.’ મને આ શબ્દો ખુબ ગમી ગયા. ભગવાનનું સ્મરણ કે નામ લઇને સત્કાર્ય જ થઇ શકે, અને દુષ્કાર્ય કરવા જાય એને ભગવાનનું નામ યાદ આવે નહીં. યાદ આવે તો પોતે જે કંઇ કરે છે એ બરાબર કરતો નથી, ખોટું કરે છે એનો પણ ખ્યાલ આવે. મહારાજનું નામ લઇને કામ કરવાનું કહે એટલે એ કામમાં હંમેશા સફળતા જ હોય, વિજય જ હોય. પણ નામ લેવું એટલે હોઠ ફફડાવવા નહીં. સમજીને ભગવાનને જીવનની એ ક્ષણ સાથે ઓતપ્રોત કરવા, અને પ્રભુ જેમાં ઓતપ્રોત થયા હોય એ ક્ષણનું દૈવત કંઇ ઔર જ હોય.

        પૂ. પ્રમુખ સ્વામી મહારાજને કોઇ હરિભક્તે પ્રણામ કરીને કહ્યું કે, ‘સ્વામી, મને આશિર્વાદ આપો.’ તો સ્વામીબાપા તેને માથે કે વાંસામાં હાથ મુકીને કે કયારેક વહાલથી ધબ્બો મારીને કહે કે, ‘મહારાજની પાંચ માળા ફેરવો. બધું સારૂં થઇ જાશે. યોગીબાપા હાજરાહુજુર છે. બધું કામ દીપાવશે.’ આમ, આશિર્વાદ પોતે આપ પણ એનોય જશ તો મહારાજને કે ગુણાતીતાનંદ સ્વામીને જ આપે. આવું થાય ત્યારે સંત સમાગમથી શાંતિ મળતી હોય એવું લાગે.

        ભગવાન અને સંત આ જ મીઠી ડાળ છે. એવું પ્રમુખ સ્વામી કહે ત્યારે સૌ કોઇને શાંતિનો એક અજબ શાતાનો અનુભવ થાય છે. એમની વાણીમાં મીઠાશ છે. અહંકારને ગાળીને કામ કરવામાંથી આ મીઠાશ પ્રગટે છે; અથવા વધુ યોગ્ય રીતે કહું તો ભગવાનની નજીક જવામાંથી આ મીઠાશ પ્રગટે ચે. પળેપળ મહારાજ, ઇશ્વર કે પરમાત્માની મૂર્તિ હ્રદયમાં બિરાજતી હોય એવો અનુભવ થાય છે. આ વાણીની મીઠાશ આપણાં ચિત્તને પ્રસન્ન અને તરબતર કરતી હોય છે.

        પ્રમુખ સ્વામીએ પોતે સંતનો મહિમા કર્યો છે, અને આ મહિમાનું સ્મરણ કરીએ ત્યારે આપણને યાદ આવે. ‘સંત તો માતા જેવા છે.’ એ શબ્દ યાદ કરીએ ત્યારે તેનામાં રહેલી વત્સલતા જ આપણને યાદ આવે. આ વત્સલતા અદ્દ્ભૂત છે. અનન્ય છે જે અનુભવે ખબર પડે. જ્યાં ત્યાં ભીતમાં માંથુ ભરાવવાને બદલે આવા સંતની ઓળખ થાય, તો જીવનમાં ઘણુંબધું ઓળખવા જેવું ઓળખાય પણ જાય અને સમજાય પણ જાય.

        પ્રમુખ સ્વામી વિશે વાત કરતાં ઘણી વાર મારો મિત્ર ઘનશ્યામ કહે છે કે, ‘આ તો અક્ષર રૂપ છે. ભગવાનનો સંબંધ કરવો હોય તો આ સંતનો સંબંધ રાખજે. ભગવાન સાથે સેતુ જોડવામાં કોઇ તકલીફ નહીં રહે.’ અને આ નિર્વિવાદ હકીકત છે કે પ્રમુખ સ્વામીને મળ્યા પછી સતત એવું અનુભવાય કે એમનું મહારાજ સાથે અને પરમાત્મા સાથે એક અજબનું સામીપ્ય છે. એ જે કંઇ વાત કરે તેમાં તન્મયતા હોય છે, સરળતા હોય છે. એ સરળતામાં એક અજબ ની ગહેરાઇ હોય છે. માતાની વત્સલતા અને સંતની માનવીય દ્રષ્ટિ બંને તેમનામાં એક જ બિંદુએ મળ્યા છે.

        આવા સંત અને સત્ત્પુરૂષની વાણી વ્યક્તિ અને સમાજને આજનાં સંજોગોમાં સંકુચિતતાથી પર થઇ વિચારવાની પ્રેરણા આપે છે. ત્યારે પૂ. પ્રમુખ સ્વામી મહારાજનાં આ જ શબ્દો આપણને યાદ આવે…

પૂ. પ્રમુખ સ્વામિ મહારાજનાં ચરણોમાં આ લખવૈયાનાં શત્ શત્ નમન.

- આ લેખનાં અમુક અંશો શ્રી હરીન્દ્ર દવેનાં પુસ્તક 'અહમ પીગળે તો જ પ્રેમની પ્રાપ્તિમાંથી... સાભાર.

Sunday 1 December 2013

તુમ હો તો ગાતા હૈ દિલ, તુમ નહીં તો ગીત કહાં… ઇશાની દવે

ગુજરાતનાં ખ્યાતનામ ગાયક પ્રફુલ્લ દવેને ઓળખાણનાં અત્તરની બિલકુલ જરૂર નથી. પોતાના કંઠથી આખાયે ગુજરાતને ઘેલું લગાડનાર્તા ગાયક પ્રફુલ્લ દવે અનેક ફિલ્મોમાં પાર્શ્વગાયન કરી ચૂક્યા છે, દેશ – દુનિયામાં અઢળક સ્ટેજ પ્રોગ્રામ્સ કર્યા છે અને હજ્જરો સી.ડી. અને ડી.વી.ડી અહાર પાડી છે.

        આવા લોકલાડીલા ગાયકની દીકરી ઇશાની એબ્રોડમાં એટલે કે વિદેશમાં અભ્યાસ કરી રહી છે. આજે એ આપણા આ લાડકા ગાયક અને એનાં લાડકા પિતા વિશે મન મૂકીને શબ્દોનું સંગીત પીરસી રહી છે…

        મને એ દિવસ, એ દ્ર્શ્ય એ પ્રેમ હજુ આજેય યાદ છે. વર્ષ તો એક્ઝેટ ખબર નથી પણ હું લગભગ છ-સાત વર્ષની હતી. પપ્પા બીમાર હતાં અને એમનો કચ્છમાં કાર્યક્રમ હતો. અગાઉથી પ્રોગ્રામ નક્કી થઇ ગયો હતો એટલે કેન્સલ કરાય એમ નહોતો. પપ્પા પ્રોગ્રામમાં ગયા. સ્ટેજ પરથી ગાવાનું શરૂ કર્યું. હું પણ એમની બાજુમાં જ બેઠી હતી. મેં જોયું કે પપ્પામાં ખૂબ અશક્તિ હતી. ગાતા ગાતા એમને સખત પરસેવો વળી રહ્યો હતો અને ગાવામાં પારાવાર શ્રમ પડતો હતો. મને ખુબ દુઃખ થયું. અચાનક મેં મારા હાથમાં રહેલા નાનકડા રૂમાલ વડે પપ્પાનાં ચહેરા પરથી પરસેવો લૂછ્યો. એ સાથે જ પપ્પા ચાલુ કાર્યક્રમે સ્ટેજ પરથી રડી પડ્યા. હું એમને જોતી જ રહી. જાણે કે એ સ્પર્શ સાથે જ એમનો થાક દૂર થઇ ગયો હતો. એ ઉત્સાહમાં આવી ગયા. પછીનો આખો કાર્યક્રમ એમણે મને તેડીને ગાયા કર્યું. મારા માટે જિંદગીનો આ શ્રેષ્ઠ દિવસ હતો. મારા પપ્પા મને એટલો બધો પ્રેમ કરતા હતાં કે મારા સ્પર્શમાત્રથી એમનો થાક દૂર થઇ જતો હતો. એમની આંખોમાં આંસુનો દરિયો ઊમટી પડતો હતો.

        ગુજરાતનાં સર્વશ્રેષ્ઠ ગાયક તરીકે ઓળખાતા મારા પપ્પા પ્રફુલ્લ દવે મારા માટે તો સર્વશ્રેષ્ઠ ગાયક તો છે જ પણ સાથે સાથે સર્વશ્રેષ્ઠ પિતા પણ છે, સર્વશ્રેષ્ઠ મિત્ર પણ છે અને દુનિયાની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ પણ છે. આખીયે દુનિયા એમને ગાયક તરીકે ઓળખે પણ મારા માટે તો મારા પપ્પા ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઇડ અને ટીચરનો સમન્વય છે.

        પપ્પા શબ્દ જ મારા માટે એવો છે જ્યાંથી મારી આખી દુનિયાની શરૂઆત થાય છે અને આજ સુધીની ક્ષણ પૂરી થાય છે. મને હજુયે બાળપણમાં પપ્પા સાથે રમેલી રમતો એવીને એવી જ યાદ છે. અમે રમતા ત્યારે હું સસલું બનતી અને પપ્પા સિંહ. અમે ખૂબ ભાગમભાગ કરતાં. પણ સિંહ બનેલા પપ્પા સસલું બનેલી મને મારતા નહીં. મારો શિકાર નહોતા કરતાં. એ વખતે એનું કારણ સમજાવતા પપ્પાએ કહેલું કે, ‘સિંહ જંગલનો રાજા કહેવાય. એ ગમે એટલો શક્તિશાળી કે હિંસક હોય પણ એનાથી સસલા જેવા ગભરૂ પ્રાણીને કોઇ કાળે મરાય જ નહીં.’ અને મારા બાળમાનસમાં પડેલી એ છાપ આજે પણ એમની એમ છે. પપ્પાની એ વાત સાચી હતી પણ એમણે મારાથી છુપાવી રાખેલું બીજું કારણ મોટી થયા પછી મને સમજાય છે. સિંહ બનેલા પપ્પા મને એટલા માટે નહોતા મારતા કારણ કે મને ખબર છે કે હું સામે હોઉં એટલે પપ્પા ખુદ સસલા જેવા પોચા હ્રદયનાં બની જાય છે. એમની જ વાત નથી, જગતનો કોઇ પણ બાપ એની દીકરી સામે સસલા જેવો મુલાયમ હ્રદયી બની જ જાય છે. એટલે જ કઠોરમાં કઠોર બાપ પણ એની દીકરીની વિદાય વખતે પોક મૂકીને રડી પડતો હોય છે.
       
        પપ્પાએ એમનાં જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. મેં એમને કુટુંબ માટે, અમારા માટે દોડતા જ જોયા છે. મોટા ભાગે રાતનાં કાર્યક્રમો હોય. સવારે પપ્પા આવે એટલે મારી ફરમાઇશોનું લિસ્ટ તૈયાર જ હોય. મારી સાથે ઘર ઘર રમો, મારી સાથે આ રમત રમો અને તે રમત રમો, અને પપ્પા મારી સાથે રમવા બેસી જતાં. આખો દિવસ મારી સાથે ધિંગામસ્તી કરતા, મારી સાથે ઘર-ઘર, સંતાકૂકડી, થપ્પો રમતાં. સસલું અને સિંહની રમતો રમતા. એ વખતે મને ખબર નહોતી પડતી કે પપ્પા આખી રાત મહેનત કરીને આવ્યા છે. એમને આખી રાતનો ઉજાગરો છે. એમનો જો આરામ નહીં મળે તો એમના પરફોર્મન્સ પર ખરાબ અસર પડશે. અને ખબર પડે પણ ક્યાંથી? પપ્પા તરફથી ક્યારેય કંટાળો દર્શાવાયો હોય તો ખબર પડે ને? એવું આજેય છે. પપ્પા આજેય એમના તમામ દુઃખ, દર્દ, થાક, કંટાળો બધું જ ભૂલીને મારી સાથે બાળક બનીને રહે છે. એમનો મુડનો ગ્રાફ મારા મુડ પર આધારિત હોય છે. આ બધું પપ્પાથી વિશેષ કોઇ ના કરી શકે.

        મારા પપ્પા લોકપ્રિય ગાયક એટલે સ્ટાઇલિશ પણ ખરા. એમનાં લાંબા રેશમી વાળ મને બહુ ગમતા. હું લગભગ રોજ એમને પોની વાળી આપવાનાં બહાને એમનાં વાળ સાથે મસ્તી કર્યા કરતી. એમનાં વાળ મારા માટે રમવાનું રમકડું ન હતાં. જો કે પપ્પાએ મારા માટે દુનિયા આખીનાં રમકડાંનો ખડકલો કરી દીધો હતો. પણ પપ્પાએ દુનિયાભરમાંથી ખરીદેલાં એ બધાં રમકડાંઓ કરતા મને પપ્પા સાથે રમવાનો વધારે આનંદ આવ્યો છે, અને આજે પણ આવે છે.

        મને યાદ નથી કે પપ્પાએ મને ક્યારેય કોઇ વસ્તુની ના પાડી હોય. હા, થોડીવાર ના પાડે પણ પછી તરત જ હા પાડી દે.

        એક ગાયક તરીકે પણ મારા પપ્પા મારા સૌથી ફેવરીટ ગાયક છે. એટલાં માટે તેઓ મારા પ્રિય ગાયક નથી કારણ કે તેઓ મારા પપ્પા છે. પણ એમના સિવાય મને કોઇનો અવાજ, કોઇનું ગીત ગમતું જ નથી. મારા પપ્પા જીવનનાં દરેક પડકારો સામે હિંમતપૂર્વક લડ્યા છે. જીવનની દરેક ચેલેન્જને તેઓએ સ્વિકારી છે એટલું જ નહીં એનો જવાબ પણ આપ્યો છે અને એ પણ સંગીતમય રીતે…

        પપ્પા મારી વિકનેસ નથી પણ સ્ટ્રેન્થ છે. એમણે આખી જિંદગી મારા પર જે પ્રેમ વરસાવ્યો છે એ વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી અને મારી એ તાકાત પણ નથી કે એ પ્રેમને એ વ્હાલને શબ્દોમાં સમાવી શકું કે કહી શકું. હું પાણીનું ટીપું છું અને પપ્પાનો પ્રેમ ઘૂઘવતો દરિયો છે. એમના વિશે કેવી રીતે વાત કરી શકું? બસ એમના માટે એટલું જ કહેવું છે કે,
‘જિંદગી મેરી હૈ લેકિન,
તેરે કહને મેં રહા કરતી હૈ.
તુમ હો તો ગાતા હૈ દિલ,
તુમ નહીં તો ગીત કહાં…
તુમ હો તો હૈ જિંદગી…’
લવ યુ પપ્પા… લવ યુ અ લોટ…!


- રાજ ભાસ્કર દ્વારા સંપાદિત પુસ્તક, ‘લવ યુ પપ્પા’માંથી સાભાર…