Sunday 30 June 2013

દ્રષ્ટિકોણ, Point of View…

        આપણાં દ્રષ્ટિકોણમાં અચાનક કોઇ મોટું પરિવર્તન આવે તો કેવી પ્રચંડ અસર ઊભી થાય છે તેનો અનુભવ આપણને ક્યારેક થતો હોય છે. કોઇ ટનલમાંથી ગાડી પસાર થતી વખતે આપણે બહુ મર્યાદિત રીતે જોઇ શકતા હોઇએ છીએ. ગાડી જેવી ટનલમાંથી બહાર નીકળે કે આંખ સામે ઊઘાડ થાય છે તેવી જ અનૂભુતિ દ્રષ્ટિકોણ બદલાતાં આપણ માનસમાં આપણાં વર્તનમાં જેવું ઓચિંતુ પરિવર્તન આવે ત્યારે થતી હોય છે. આ વાતને વધુ છણાવટથી સમજાવતો એક કિસ્સો અહીં લખું છું.

        હું એક સવારે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો. ટ્રેનમાં બધા શાંતિપૂર્વક બેઠા હતાં. કેટલાક છાપાં વાંચતા હતા, કેટલાક પોતાનાં જ વિચારોમાં ખોવાયેલા હતાં, તો કેટલાક અલટી-પલટી મારી ભાઇબંધો સાથે ધીમા અવાજે કોઇને ખલેલ ન પહોંચે એ રીતે ગપ્પા લડાવતાં હતાં, તો કેટલાંક બસ આંખો બંધ કરી આરામ કરી રહ્યા હતાં. ટુંકમાં ગાડીનાં આ ડબ્બામાં પૂર્ણતઃ શાંતિ અને આનંદનું વાતાવરણ હતું.

        એક સ્ટેશન પર ગાડી થોભી, અને અમારા ડબ્બામાં એક પુરૂષ અને તેનાં બાળકો દાખલ થયાં. બાળકો એટલાં ધમાલિયા અને ઘોંઘાટિયાં હતાં કે તરત અમારા ડબ્બાનું વાતાવરણ બદલાઇ ગયું. જ્યાં થોડી વાર પહેલાં એકદમ શાંતિ ત્યાં અચાનક શોરબકોર અને ધમાલ ફેલાઇ ગયેલી. મારા પરમ આશ્ચર્યનું કારણ તો એ હતું કે આ બાળકો જે પુરૂષ સાથે આવેલાં તે તો એકદમ નિર્લેપભાવે મારી પાસેની બેઠકમાં બેઠો અને તેની આસપાસની પરિસ્થિતિથી અલિપ્ત હોય એમ એણે આંખો બંધ કરી દીધી. તેનાં બાળકો જોરદાર શોરબકોર અને ધમાલ કરી રહ્યા હતાં. ચીજવસ્તુઓ ગમે તેમ ફેંકી રહ્યા હતાં, લોકોનાં છાપાં ખૂંચવતાં હતાં. આટલી ધાંધલ હોવા છતાં મારી પાસે બેઠેલ પુરૂષ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાને બદલે કશું જ કર્યા વગર આંખો મીચીને પડ્યો હતો.

        આવી પરિસ્થિતિમાં અકળામણ થાય તે અત્યંત સ્વાભાવિક હતું. હું માની ન શક્યો કે કોઇ પુરૂષ પોતાનાં બાળકોને આમ જ છૂટા મુકી દઇ કશું જ ન કરે તેવો અસંવેદનશીલ હોય! ટ્રેનનાં અમારા ડબ્બાનાં બીજા પ્રવાસીઓ પણ મારી જેમ જ અકળાઇ ઉઠ્યા હતાં. છેવટે મેં અસાધારણ ધીરજપૂર્વક અને મારા ગુસ્સા પર સંયમ કરીને પેલા પુરૂષને કહ્યું, “ભાઇ, તમારા બાળકો આસપાસનાં માણસોને ખૂબ ખલેલ પહોંચાડી રહ્યા છે. શું તમે તેમને જરા કંટ્રોલમાં રાખો, અને શાંતિથી બેસવાનું કહો.”

        જાણે આ ધમાલ અને ધાંધલ ભરી પરિસ્થિતિથી મારા કહેવાથી જ જાણે સભાન થઇ રહ્યો હોય અવગત થઇ રહ્યો હોય તેમ તેણે માથું ઉંચક્યુ અને ધીમેથી બોલ્યો, “હા, તમારી વાત સાચી છે. મને લાગે છે કે મારે કંઇક કરવું જોઇએ. અમે હમણાં હોસ્પિટલમાંથી જ આવી રહ્યા છીએ, જ્યાં આ બાળકોની મમ્મીનું એક કલાક પહેલાં જ મૃત્યુ થયું છે. મારું મગજ જાણે કંઇ કામ જ નથી કરી રહ્યું અને મને લાગે છે કે આ બાળકોની પરિસ્થિતિ પણ કંઇક એવી જ છે.”

        મને એ ક્ષણે શું થયું હશે તેની તમે કલ્પના કરી શકો છો?

        મારો દ્રષ્ટિકોણ બદલાઇ ગયો. મારી સમજ બદલાઇ ગઇ. પરિસ્થિતિને જોવાની મારી સંપુર્ણ દ્રષ્ટિ જ બદલાઇ ગઇ અને દ્રષ્ટિ બદલાઇ એટલે મેં હકીકતોને જુદી જુદી રીતે જોઇ, જુદી જ લાગણી અનુભવી. જુદી જ રીતે વિચાર કર્યો અને જુદું જ વર્તન થયું. મારી તમામ અકળામણ જાણે કે પલકવારમાં અદ્રશ્ય થઇ ગઇ. મારે મારા અભિગમ કે વર્તણૂંકને નિયંત્રિત કરવાની જરૂર જ ન પડી. મારૂં હ્રદય, મન અને આંખો પણ પેલા પુરૂષની વેદનાથી ભરાઇ ગયું. તેના પ્રત્યે સહાનુભૂતિ અને કરૂણા થઇ.

        મિત્રો, ઘણાં મનુષ્યોનું માનસ જીવનની કટોકટીની ક્ષણોમાં આ જ રીતે અચાનક બદલાય જાય છે. તેનાં કારણે તેઓ પોતાના જીવનની અગ્રિમતાઓને બદલી નાખે છે. અચાનક કોઇ મોટી ઘટના બનતા ઘણા લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થતાં હોય છે. એ સાવ સીધીસાદી વાત છે કે, વ્યક્તિ-વિકાસ-નીતિથી આપણે આપણાં અનુભવોથી આપણાં વાણી, વર્તનમાં, વ્યક્તિત્વમાં નાના મોટા ફેરફાર કરી શકીયે છીએ. પરંતુ જો સમૂળગુ વ્યક્તિ પરિવર્તન ઇચ્છતા હોઇએ તો આપણે આપણાં મુળભૂત દ્રષ્ટિકોણને બદલવો પડે. એક જબરજસ્ત મોડ, જબરજસ્ત વળાંક જ આપણાં સંપુર્ણ વ્યક્તિત્વને બદલી શકે છે.

        મૂળે આપણાં દ્રષ્ટિકોણ આપણાં ચરિત્ર્ય સાથે જોડાયેલાં છે. આ દ્રષ્ટિકોણ જ આપણું માનસદર્શન કે ચરિત્ર્ય છે. આપણે જેવા છીએ તેવું જ દેખાય છે કે બીજા શબ્દોમાં કહું તો જોઇ શકીએ છીએ. (જેમકે, ‘કમળો હોય એને બધે પીળું જ દેખાય) અને આ જોવું (Seeing) તે આપણાં હોવા (Being) સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આપણે આપણા હોવાપણાંને બદલ્યા સિવાય આપણી દ્રષ્ટિને ખાસ બદલી શકતાં નથી. આનાથી વિરુધ્ધ પણ આટલું જ સાચું છે.

        ટ્રેનમાં પેલાં પુરૂષની વાત પુરી જાણ્યા પછી અપરાધભાવ કે અન્ય કારણોસર મૂંગા બની બેસી રહેનાર લોકો પણ હશે; તો એવા પણ લોકો હશે જેઓ પોતાની સંવેદનશીલતાને લઇને પહેલેથી જ પરિસ્થિતિનાં ઊંડાણમાં કોઇ ગંભીર સમસ્યા હશે તેવું પારખી ગયા હોય.

        રિડરબિરાદરો, આ ચશ્મા, આ કાચ ખૂબ જ પ્રભાવશાળી છે, કારણ કે તેનાં દ્વારા જ આપણે વિશ્વને નિહાળીએ છીએ, અને આપણે જે રીતે વિશ્વને નિહાળીએ છીએ તે જ આપણાં જીવનની અસરકારકતાનો પાયો છે.

9 comments:

  1. ખરી વાત છે, મોટા ભાગનાં માણસો હંમેશા કોઇપણ ઘટના પરત્વે પોતાના સાવ પાયા વિહોણા પ્રત્યાઘાતો તે ઘટનાની પાછળનાં કારણો જાણ્યા વિના અથવા તો જાણવાની તસ્દી લીધા વિના જ આપતા હોય છે. એમાં પણ જ્યારે આવી કંઇ ઘટના ઘટે ત્યારે તો ખાસમખાસ. આવા માણસોની તો આખી એક જમાત રખડે છે હરાયા ઢોરની માફક આપણાં આ so call literate society માં. ખુબ સુંદર લેખ બદલ આપને ખુબ ખુબ અભિનંદન...

    ReplyDelete
  2. ખુબ સુંદર લેખ

    ReplyDelete
  3. Very well said my dear as well described. Good. Congratulations!!!

    ReplyDelete
  4. ખુબ સુંદર લેખ.

    Nirajan - Vadodara

    ReplyDelete
    Replies
    1. Thank you Mr. Niranjan. Thanks a lot. Keep reading regularly and dont forget to comment.

      Delete
  5. heart touching story.

    ReplyDelete